રાંચીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટના મેદનામાં તો પોતાના બેટથી બોલરોના છક્કા છોડાવી દે છે. જોકે, ક્રિકેટના મેદાન બહાર પણ તેઓ શ્રેષ્ઠ કામ કરી રહ્યા છે. ક્રિકેટ બાદ તેઓ પશુપાલનમાં પણ ઉમદા કામ દેખાડી રહ્યા છે.
બિરસા કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે આયોજિત એક કાર્યક્રમમાં તેમને પૂર્વીય ભારતમાં પશુપાલન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય અને યોગદાન બદલ સર્વશ્રેષ્ઠ ગૌ પાલકનો ખિતાબ આપવામાં આવ્યો છે. શનિવારે બિરસા કૃષિ વિશ્વવિદ્યાલયમાં ચાલી રહેલા પ્રાદેશિક ખેડૂત મેળામાં સન્માન સ્વરૂપ સ્મૃતિ ચિન્હ અને શાલ આપવામાં આવી હતી. આ ખિતાબ તેમના પ્રતિનિધિ કૃણાલ ગૌરવે સ્વીકાર કર્યો હતો.
રાંચીના કાંકે ખાતે આવેલી બિરસા કૃષિ વિશ્વવિદ્યાલયમાં પૂર્વ ક્ષેત્રના પ્રાદેશિક કૃષિ મેળા અને એગ્રોટેક ખેડૂત મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં જાનવરોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું.
આ પ્રદર્શનમાં મહેન્દ્ર સિંહ ધોનીના ડેરી ફાર્મની બે ગાય પ્રસ્તુત કરવામાં આવી હતી. તેમાં એક ક્રોસ બ્રીડ અને બીજી સાહિવાલ પ્રજાતિની હતી. ક્રોસ બ્રીડ ગાયની સાથે વાછરડી પણ હતી. આ ગાય દરરોજ 35 લીટર દૂધ આપે છે. 6 સદસ્યો ધરાવતી નિર્ણાયક મંડળીએ વિજેતાઓની પસંદગી કરી હતી.
પસંદગી પ્રક્રિયામાં ગાયની શારીરિક સંરચના, દૂધની ક્ષમતા વગેરેની પરખ કરવામાં આવી હતી. રાંચી ખાતેના મહેન્દ્ર સિંહ ધોનીના ફાર્મ હાઉસમાં અલગથી ડેરી ફાર્મ બનાવવામાં આવ્યું છે. જેમાં હાલ 104 ગાય છે. તેમાં સૌથી વધારે ગીર, ફ્રીજિયન અને સાહિવાલ પ્રજાતિની ગાયો છે જેમાં દેશી નસ્લની ગાયોનો પણ સમાવેશ કરાયો છે.
તેમણે કહ્યું કે, કૃષિ અને પશુધનનું આપણા જીવનમાં ઘણું મહત્ત્વ છે. ભારતીય સમાજની સંપન્નતા આની પર આધારિ છે. આ સાથે જ તેમણે વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિકોએ ખેડૂતોના હિતમાં પ્રસાર ગતિવિધિઓ પર કેન્દ્રિત કરવાનો આગ્રહ કર્યો હતો. નોંધનીય છે કે, મહેન્દ્ર સિંહ ધોની 43 એકરના ફાર્મ હાઉસમાં શાકભાજી, ફળની ખેતી ઉપરાંત ડેરી ફાર્મ ચલાવે છે.