PM: વડાપ્રધાન મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી સુરતથી ‘જળસંચય જનભાગીદારી યોજના’નો શુભારંભ, CM પટેલ, મંત્રી સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યા
કેન્દ્રીય જલશક્તિ મંત્રાલય અને રાજ્ય સરકાર દ્વારા સુરતના ઈન્ડોર સ્ટેડિયમ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વરસાદના પાણીના એક એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરીને ભૂગર્ભ જળ સ્તર ઉંચા લાવવાના હેતુ સાથે ‘જળસંચય જનભાગીદારી યોજના’નો વર્ચ્યુઅલ માધ્યમથી શુભારંભ કરાવતા જણાવ્યું કે, જળ સંરક્ષણ એ માત્ર નીતિ નથી, પણ સામાજિક નિષ્ઠાનો પણ મુદ્દો છે. આવનારી પેઢીઓ આપણા તરફ સન્માનની નજરે જુએ, આદર સાથે યાદ કરે એ માટે ભૂગર્ભમાં મહત્તમ જળસંચય થવું જરૂરી છે. જળસંચયની યોજના જળસ્રોતો અને પર્યાવરણના રક્ષણ માટે જ નહીં, ભાવિ પેઢીને સમૃદ્ધ જળવારસો આપવાનું માધ્યમ બનશે. એટલે જ સરકાર જળ સંરક્ષણ દ્વારા જળ સુરક્ષાને નવી તાકાત આપવા સંકલ્પબદ્ધ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટિલ સહિત મંત્રીશ્રીઓની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત સમારોહમાં વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે, જન જન સુધી પાણી પહોંચાડવા માટે વર્ષોથી ગુજરાતમાં સાર્થક અને પરિણામલક્ષી પ્રયાસો થયા છે, જે સદર્ભે નર્મદા ડેમની પૂર્ણતા, સૌની યોજના, સુજલામ સુફલામ જળ અભિયાનનો ઉલ્લેખ કરતા વડાપ્રધાનશ્રીએ આ પ્રકારના અનેકવિધ પ્રોજેક્ટ્સના કારણે ગુજરાત જળસંરક્ષણ અને જળવ્યવસ્થાપના ક્ષેત્રે દેશના અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ બન્યું છે એમ જણાવ્યું હતું.
જાગૃત જનમાનસ, જનભાગીદારી અને જનઆંદોલન એ જળસંચય અભિયાનની સૌથી મોટી શક્તિ છે, ત્યારે દેશમાં જનભાગીદારીથી ૬૦ હજાર અમૃત્ત સરોવરોનું નિર્માણ થયું છે એમ જણાવતા વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં નિર્માણ પામેલા ૨૬૦૦ થી વધુ અમૃત્ત સરોવરો બદલ રાજ્યની જનતાની જલસંચયની કામગીરીમાં જનભાગીદારીને બિરદાવી હતી. જળસંચય જનભાગીદારી યોજનાનો મુખ્ય આશય ગુજરાતભરમાં ૨૪,૮૦૦ જળસંચય સ્ટ્રક્ચર ઉભા કરવાનો છે, જે સફળ બનશે એવો વિશ્વાસ વ્યક્ત કરી તેમણે પરંપરાગત જળસ્રોતોના નવીનીકરણની સાથે સાથે નવા જળસ્રોતોનું પણ નિર્માણ થાય એના પર ભાર મૂક્યો હતો.
વડાપ્રધાને રાષ્ટ્રને પાણીદાર બનાવવા, જળના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે આપણે ‘રિડ્યુસ, રિયુઝ, રિચાર્જ અને રિસાયકલ’નો મંત્ર અપનાવવો જોઈએ એવો અનુરોધ કરતા આપણે સૌએ સાથે મળીને ભારતને સમગ્ર માનવજાત માટે જળ સંરક્ષણમાં સીમાચિહ્ન બનાવવા આગળ આવવા અપીલ કરી હતી.
વડાપ્રધાને દેશમાં અનેક વિશાળ નદીઓ હોવા છતાં ઘણા રાજ્યો, ભૌગોલિક પ્રદેશો પાણીથી વંચિત રહે છે, કાળક્રમે ભૂગર્ભ જળસ્તર પણ ઝડપી ગતિએ ઘટી રહ્યું છે તેમજ જળવાયુ પરિવર્તન સાથે પાણીની અછતની લોકોના જીવન પર ભારે અસર પડી છે, ત્યારે હવે સૌએ ખભે ખભા મિલાવી જળ સંરક્ષણને નૈતિક ફરજ સમજી જળસંચયને જીવનનો ભાગ બનાવવા જણાવ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટિલે જણાવ્યું કે, પાણીની વૈશ્વિક સમસ્યા નિવારવા ‘જળસંચય જનભાગીદારી અભિયાન’ એક નવી રાહ ચીંધશે. ગુજરાત વિકાસ મોડેલ તરીકે પ્રખ્યાત છે, ત્યારે આગામી દિવસોમાં જળ સંચયમાં પણ દેશનું મોડેલ બનશે. જળસંચય અભિયાન હેઠળ બોર રિચાર્જ, કુવા રિચાર્જ અને રિચાર્જ પીટ હેઠળના રેઈન વોટર હાર્વેસ્ટિંગના ૨૪૮૦૦થી કામો હાથ ધરાશે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ૧૦૦ એમ એમ વરસાદ પડે તો પણ ૧૪/૪૫ ના મકાન દ્વારા એક લાખ લીટર પાણી ભૂગર્ભમાં ઉતારી શકાય છે. દરેક પદાધિકારીઓને પોતાના ઘરથી જળસંચયના અભિયાનની શરૂઆત કરવાની અપીલ મંત્રીએ કરી હતી.
મંત્રીએ જળસંચય અભિયાન હેઠળ પાણીરૂપી પારસમણિને સંગ્રહ કરવાની યોજનાનો પ્રારંભ સુરત જિલ્લામાંથી થઇ રહ્યો છે, જે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં મોટુ જનઅભિયાન બનશે એમ જણાવી ‘જળસંચય અને જનભાગીદારી’ હેઠળ જિલ્લાના બિનઉપયોગી અને બંધ ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રિચાર્જ કરી ફરી તે જ પાણીનો ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો. આ કાર્યમાં સુમુલ ડેરી પણ ૧૨૦૦ બોર રિચાર્જ કરીને અભિયાનમાં જોડાશે. આ ઉપરાંત કડોદરાની ઈન્ડસ્ટ્રીઝ પણ મોટી સંખ્યામાં રિચાર્જિગના કાર્યમાં જોડાશે તેનો પણ મંત્રીશ્રીએ ઉલ્લેખ કર્યો હતો.
વિકસિત ભારતના નિર્માણમાં પાણીની સમસ્યા બાધારૂપ નહીં બને એવો વિશ્વાસ આપણે સૌએ જળ સંચય યોજનાને દેશભરમાં લાગુ કરીને તેમજ ગામે ગામ જળ સંગ્રહના કાર્યો સામૂહિક રૂપમાં ઉપાડી ને અપાવવાનો છે એમ જણાવી શ્રી પાટીલે ઉમેર્યું કે, ‘જનશક્તિથી જળશક્તિ’ ને સફળ બનાવવા સંકલ્પ લઈએ. સામૂહિક કામગીરીથી ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવીશું તો આવનારી પેઢીના આપણે ઋણી બનીશું.
આ પ્રસંગે પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું કે, એક સમયે ગુજરાતમાં પાણીની ભારે અછત વર્તાતી હતી, પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ પાણીદાર ગુજરાતની વિકાસયાત્રા શરૂ કરી હતી. જેના કારણે ગુજરાત તબક્કાવાર સમૃધ્ધિ તરફ આગેકૂચ કરી રહ્યું છે. પાણીનો વિવેકપુર્ણ ઉપયોગ, ટપક સિંચાઈ પધ્ધતિ, ખેત તલાવડીઓના નિર્માણ જેવા અનેક આયામો અપનાવીને ગુજરાતે પાણીનું સુદઢ અમલીકરણ કર્યું છે. જળસિંચન, જળસંચયના પરિણામે ગુજરાત જળક્રાંતિનું જન આંદોલન બની રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
કાર્યક્રમના પ્રારંભે જલશક્તિ મંત્રાલયના OSD અશોક મીણાએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા અને જળ સંચય જનભાગીદારી યોજનાની રૂપરેખા સ્પષ્ટ કરી હતી. તેમણે જણાવ્યું કે, પાણીના સંરક્ષણની સાથે સમાજની ભાગીદારી રહેલી છે. જલજીવન મિશન હેઠળ ૧૫ કરોડ લોકો સુધી જલથી નલ પહોચાડવાનું કાર્ય થયું છે. ગુજરાતમાં ૫૮૫ પાણીની યોજનાઓ પુર્ણ થઈ ચુકી છે. એક એક ટીપાનો સંગ્રહ કરવાના ગુજરાતના જળસંચય જનભાગીદારીના અભિયાન સમગ્ર ભારત દેશને નવી દિશા બતાવશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલે સુરત શહેરમાં મનપા દ્વારા થઈ રહેલી વોટર રિચાર્જ કામગીરી, જળ સંચયના પ્રકલ્પો અને ભાવિ આયોજન વિષે સ્વાગત પ્રવચનમાં વિગતો આપી હતી. તેમણે કહ્યું કે, સુરતએ મિની ભારત છે. સુરતે ૨૦૪૭માં પાણીની જરૂરીયાતને અનુલક્ષીને વોટર મેનેજમેન્ટનું આયોજન કર્યું છે. મહાનગરપાલિકા ગંદા પાણીને રિયુઝ કરીને વર્ષ દહાડે ૧૪૦ કરોડની આવક મેળવે છે. આગામી સમયમાં વધુ પાણીને રીયુઝ કરીને આવક મેળવશે. ભૂગર્ભ જળનું સ્તર ઉંચુ આવે તે હેતુથી શહેરના શહેરીજનોને પ્રોત્સાહિત કરી રાજય સરકારની જન સંચય જનભાગીદારી યોજના હેઠળ સુરત મનપા વિસ્તારની ખાનગી સોસાયટીઓમાં ગ્રાઉન્ડ વોટર રિચાર્જ સિસ્ટમ ઉભી કરાશે. જળસંચય અભિયાન હેઠળ મહાનગરપાલિકાએ બ્રિજો પર પડતા વરસાદી પાણીને પણ ભુગર્ભમાં ઉતરાવા માટેનું આયોજન કર્યું હોવાનું ઉમેર્યું હતું.
નેશનલ વોટર મિશનના એડિશનલ સેક્રેટરી અને મિશન ડિરેક્ટર અર્ચના વર્માએ આભારવિધિ કરતા જણાવ્યું હતું કે, ‘જળ સંચય જન ભાગીદારી અંતર્ગત ‘કેચ ધ રેન – વેર ઈટ ફોલ્સ વેન ઈટ ફોલ્સ’ સૂત્ર જળસંચય માટે નવી ઊર્જા પ્રદાન કરે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટિલના હસ્તે કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયની NAQUIM યોજના હેઠળ ગુજરાતમાં ડિજિટલ વોટર લેવલ રેકોર્ડરની સાથે પીઝો મીટર અને સંશોધનાત્મક કૂવાઓના બાંધકામ કાર્યનો ઈ-શુભારંભ કરાવ્યો હતો.
આ વેળાએ જલશક્તિ મંત્રાલયની NAQUIM યોજના તેમજ વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૪ સુધીની કેચ ધ રેઈન કેમ્પેઇનની બે લઘુ વિડીઓ ફિલ્મો નું નિદર્શન કરાયું હતું.વિશેષમાં, સમગ્ર ભારતના ૭૦૦ જેટલા જિલ્લાઓના કલેકટરો વર્ચ્યુલી આ કાર્યક્રમમાં જોડાયા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય ખાદ્ય, ગ્રાહક બાબતો, જાહેર વિતરણ વ્યવસ્થા રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા, નાણા, ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઈ, જળસંપતિ અને પાણી પૂરવઠા રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ, સાંસદો મુકેશભાઈ દલાલ, પ્રભુભાઈ વસાવા, ધવલ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની પટેલ, સુરતના મેયર દક્ષેશભાઈ માવાણી, જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ, સુરત સહિત દક્ષિણ ગુજરાતના ધારાસભ્યો, જિ. પંચાયત અને નગરપાલિકાઓના પ્રમુખો, વિવિધ જિલ્લાઓના કલેકટર્સ, જિ.વિકાસ અધિકારીઓ, સામાજિક અગ્રણીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.