- ખેડૂતોને નિઃશુલ્ક ડાંગર બિયારણનું વિતરણ થયું
Adani: સુરત જિલ્લાના છેવાડાના ઉમરપાડા તાલુકાના આદિવાસી ખેડૂતોને ગુણવત્તાસભર જૈવિક ખેતી તરફ વાળવા માટે એક તાલીમ શિબિર અદાણી ફાઉન્ડેશન દ્વારા નવસારી કૃષિ યુનિવર્સિટીના સહયોગથી યોજાઇ હતી. અંતરિયાળ વિસ્તારમાં ખેતી કરતાં આદિવાસી ખેડૂતો જૈવિક ખેતી તરફ વળે અને સારી ગુણવત્તાનું ડાંગર પકવે એ માટે નવસારી કૃષિ યુનિવર્સિટી અને અદાણી ફાઉન્ડેશન હજીરાએ સાથે મળી દેવલી કોલમ જી.આર.-૧૮ બિયારણ વિશે ની માહિતી સાથે એ જ દેવલી કોલમના બિયારણનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું.
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકા પંચાયત હોલ ખાતે ખેતી અંગેના વિવિધ મુદ્દાઓને આવરી લઈને એક તાલીમ યોજાઇ હતી. આ તાલીમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,સુરતના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. સુનિલ ત્રિવેદી, તાલુકા ખેતીવાડી વિસ્તરણ અધિકારી છગનભાઇ વસાવા, અદાણી ફાઉન્ડેશન, હજીરાના સી.એસ.આર હેડ શીતલબેન પટેલ હાજર રહ્યા હતા. અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા આયોજિત આ ખેડૂત જાગૃતિ કાર્યક્રમમાં નવસારી યુનિવર્સિટી અંતર્ગત ચાલતા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરતના કૃષિ વૈજ્ઞાનિક, નિષણાંત વકતાએ ખેતી વિષયક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને ખેડૂતોના પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. આ કાર્યક્રમમાં ઉમરપાડાના ઘાણાવડ, ચોખવાડા, પાંચ આંબા, આંધલીકુવા, જુમાવાડી અને ઉમરગોટ ગામના ખેડૂતોએ હાજર રહીને માર્ગદર્શન મેળવ્યું હતું. ખેતીવાડી વિસ્તરણ અધિકારી છગનભાઇ વસાવા દ્વારા ખેડૂતોને ikhedut પોર્ટલ પર મળવાપાત્ર યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.
કૃષિ વૈજ્ઞાનિકોએ દેવલી કોલમ જી.આર-૧૮ જાત વિશે માહિતી અને વાવણી સમયે ધ્યાને લેવાના મુદ્દા તેમજ, ધરુવાડિયું બનાવવું, ખેતીમાં આવતી વિવિધ જીવાત નિયંત્રણ વિશે તેમજ ખર્ચ ઘટાડી ઉત્પાદન કઈ રીતે વધારી શકાય તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ખેડૂત જાગૃતતા કાર્યક્રમમાં હાજર ખેડૂતોને દેવલી કોલમ જી.આર-૧૮ જાતની ૫૦૦ કિલો બિયારણનું વિતરણ નવસારી કૃષિ યુનિવર્સિટીના કેવિકે,સુરત દ્વારા કરવામાં આવ્યું હતું. આ બિયારણ આવનારા ત્રણ વર્ષ સુધી ખેડૂતને ઉપયોગી થશે જે એમનો ખેતી ખર્ચ ઘટાડીને આવક વધારનાર બનશે