ગૃહ રાજ્ય મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ આજે ભરૂચ તાલુકાની ચાવજ પ્રાથમિક શાળા ખાતે ગુણોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જણાવ્યું હતું કે, રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ધ્વારા વિદ્યાર્થીઓને ગુણવત્તાલક્ષી શિક્ષણ પૂરૂ પાડવા માટે શરૂ કરાયેલા આ ગુણોત્સવ કાર્યક્રમને રાજ્યમાં પ્રતિવર્ષ વ્યાપક જનપ્રતિસાદ સાંપડી રહયો છે. ગુણોત્સવના પરિણામે વિદ્યાર્થીઓના શિક્ષણ અને ઘડતરમાં નોંધપાત્ર વધારો થયો છે. તેમણે આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને વિવિધ પ્રશ્નો પુછયા હતા અને શીખ આપતાં કહ્યું હતું કે નાનપણથી જ સારી આદતો પાડવી અને ભણતરમાં સારૂં ધ્યાન રાખવું. એકલા શિક્ષકોથી ગ્રેડમાં સુધારો ન થાય તે માટે તમામે મહેનત કરવી પડે તેમ જણાવી તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓને ગુણવત્તાલક્ષી શિક્ષણ પૂરૂ પાડવાના આ યજ્ઞમાં રાજ્ય સરકાર જે પ્રયાસો કરી રહી છે તેમાં નાગરિકો, વાલીઓ પણ યોગ્ય સહયોગ આપશે તો ચોક્કસ વધુ સારા પરિણામો મળશે. પ્રાથમિક શાળા ચાવજ ખાતે ધોરણ- ૧ થી ૮ ના ૧૮૫ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આજે આ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ વિવિધ કાર્યક્રમોનું બાળકો દ્વારા સંચાલન કરાયું હતું. શાળામાં રહેલી ભૌતિક સુવિધાઓ સહિત ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે ગણન, વાંચન, લેખન તથા ઓ.એમ.આર. ટેસ્ટનું તેમજ ધોરણ ૨ થી ૫ ના વિદ્યાર્થીઓ માટે ગણન, વાંચન કૌશલ્યનું મંત્રીશ્રીએ બારીકાઇથી નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા. તેમણે સરકારશ્રી ધ્વારા અમલમાં મુકાયેલ જ્ઞાનકૂંજ પ્રોજેક્ટનું પણ નિરીક્ષણ ર્ક્યું હતું. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડાશ્રી સંદીપ સીંગ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડોડીયા, જિલ્લા આગેવાનશ્રી યોગેશભાઇ પટેલ, સરપંચશ્રી અપેક્ષાબેન, ગામ આગેવાનશ્રી ઝીણાભાઇ, શાળાના આચાર્ય શ્રી નૂતનબેન સોલંકી સહિત શિક્ષકો, વિદ્યાર્થીઓ, એસ.એમ.સી.ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ચાવજ પ્રાથમિક શાળાના બાળકો ધ્વારા પ્રાર્થના, યોગાનું નિદર્શન, સુવિચાર, સમાચાર વિગેરે રજૂ થયું હતું. કાર્યક્રમની શરૂઆતમાં વંદેમાતરમ ગીતનું ગાન થયું હતું અને અંતમાં રાષ્ટ્રીય ગીતનું ગાન થયું હતું.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.