ગીર પૂર્વના દલખાણીયા રેન્જમાં સિંહોના ટપોટપ મોતનો સિલસિલો યથાવત રહ્યો હતો. સોમવારે વધુ એક સિંહબાળ તથા એક સિંહણ સહિત વધુ બે સિંહોના મોત થતા મૃત્યુઆંક 13 પર પહોંચ્યો છે. જેમાં 3-4 વર્ષની એક બિમાર સિંહણને સારવાર અપાય તે પહેલાં અને એક સિંહબાળનું તો સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તેમજ આ જસાધાર રેન્જમાં સારવાર લઈ રહેલા અન્ય બે સિંહોની હાલત ગંભીર હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. જો કે વનવિભાગ દ્વારા અગાઉની જેમ હાલ પણ સમગ્ર ઘટના પર પડદો પાડી દેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જસાધાર રેન્જના 8000 હેક્ટર વિસ્તારમાં વનવિભાગની 8 જેટલી ટીમો દ્વારા તપાસ ચાલી રહી છે. જેમાં એક 3-4 વર્ષની સિંહણ બિમાર અવસ્થામાં મળી આવતા તેને સારવાર અર્થે નિરિક્ષણમાં રાખવામાં આવી હતી. પરંતુ સારવાર આપવામાં આવે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. આ મૃત સિંહણની તપાસ કરતા તેના શરીરમાં એક ચીપ જોવા મળી હતી. જેના આધારે આ સિંહણ એકવર્ષ અગાઉ બિમાર હોઈ તેને સારવાર અપાઈ હોવાનું જાણવા મળ્યું હતું. હાલ સિંહણના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી મોતનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત જ્યાં અગાઉ એક પછી એક 11 સિંહોના મોત નિપજ્યા હતા તે વિસ્તારમાંથી પાંચેક માસનું સિંહબાળ પણ બીમાર હાલતમાં મળ્યું હતું. આ સિંહબાળને સારવાર માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યું હતું. જો કે તેનું પણ સારવાર દરમિયાન મોત નિપજતા તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. તેમજ ઉપરોક્ત બંને સિંહોના વિશેરાનાં ટીસ્યુને વધારે ચકાસણી અર્થે લેબમાં મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ જ આ બંને સિંહોના મોત થવાનું ચોક્કસ કારણ જાણી શકાશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.