Hardik Patel: પાટીદાર અનામત આંદોલન:” કરશન પટેલ જેવા આગેવાનો સમાજને લેઉવા-કડવામાં વહેંચી રહ્યા છે”: ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ ગિન્નાયા
Hardik Patel ઉદ્યોગપતિ કરશનભાઈ પટેલે પાટીદાર અનામત આંદોલનને વખોડી કાઢ્યા છે. નવ વર્ષ પહેલાં થયેલા પાટીદાર આંદોલન સામે કરશનભાઈએ સવાલો ઉભા કર્યા હતા. કરશન પટેલે કહ્યું હતું કે પાટીદાર આંદોલનથી શું મળ્યું. એક પાટીદાર મહિલાને મુખ્યમંત્રી પદ છોડવાનો વારો આવ્યો અને આંદોલન કરનારાઓએ રાજકીય રોટલા શેક્યા સિવાય બીજું કશું કર્યું નથી. કરશન પટેલના નિવેદનને પગલે ભાજપના ધારાસભ્ય અને પાટીદાર અનામત આંદોલનના મુખ્ય નેતા હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપી છે.
ભાજપના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે વીડિયો દ્વારા જણાવ્યું કે પાટીદાર અનામત આંદોલનથી સમાજને શું મળ્યું એ કરશનભાઈને ન ખબર હોય કેમ કે એ કરોડપતિ છે અને આ આંદોલન ગરીબ પાટીદાર પરિવારો માટે હતું. આંદોલનના કારણે માત્ર પાટીદાર સમાજ જ નહીં પરંતુ દરબાર, બ્રાહ્મણ, લુહાણા અને જેમને અનામતનો લાભ નહતો મળતો એવી 50 થી વધુ જ્ઞાતિને 1000 કરોડની યુવા સ્વાવલંબન યોજના મળી, બિન અનામત આયોગ અને નિગમ મળ્યું તેમજ આર્થિક નબળા પાટીદારોને 10 ટકા અનામત મળી.
છેલ્લા 3-4 વર્ષમાં હજારો યુવાનો આ યોજનાના કારણે મફતમાં ભણી રહ્યા છે અને નોકરીએ લાગી રહ્યા છે. કરશનભાઈ જેવા અનેક એવા આગેવાનો છે જે પાટીદાર સમાજને કડવા-લેઉવામાં વેચી રહ્યા છે, આવા આગેવાનોને ઓળખવાની જરૂરી છે કેમ કે આ આગેવાનો સમાજની એકજૂટતા નથી જોઈ શકતા, સમાજ એક થાય તો આવા આગેવાનોનો મોભો દબાઈ જાય છે.
પાટીદાર અનામત આંદોલનને લઈ નવેસરથી સામસામે નિવેદનબાજી શરુ થઈ જવા પામી છે