Islamabad:જેમાં અનેક વિદેશી મહેમાનો રાજધાનીમાં રોકાશે. બીજી તરફ પૂર્વ પીએમ ઈમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઈન્સાફના સમર્થકોએ ઈસ્લામાબાદના ડી-ચોકમાં વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે.
Islamabad ના રસ્તાઓ પર પાકિસ્તાની સેના તૈનાત કરવામાં આવી છે. ઈસ્લામાબાદમાં 5 થી 17 ઓક્ટોબર સુધી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બંધારણની કલમ 245 હેઠળ સેનાને તૈનાત કરવામાં આવી છે. પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં આ તૈનાતી બે કારણોસર થઈ રહી છે. એક છે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની સમિટ, બીજી પૂર્વ પીએમ ઈમરાન ખાનની પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન.
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠક 15 થી 16 ઓક્ટોબર વચ્ચે યોજાવાની છે. જેમાં અનેક વિદેશી મહેમાનો રાજધાનીમાં રોકાશે. બીજી તરફ પૂર્વ પીએમ ઈમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઈન્સાફના સમર્થકોએ ઈસ્લામાબાદના ડી-ચોકમાં વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. ઈમરાન ખાનની મુક્તિની માંગ સાથે તેમનું વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે.
ઈમરાન સમર્થકો ઈસ્લામાબાદ આવી રહ્યા છે.
ઈમરાન ખાનના સમર્થકો ઈસ્લામાબાદ તરફ કૂચ કરી તેમની મુક્તિની માંગ કરી રહ્યા છે. ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી અલી અમીન ગાંડાપુરના નેતૃત્વમાં પીટીઆઈ સમર્થકોએ રાજધાનીના ડી ચોક ખાતે વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી હતી. સમર્થકોને રોકવા માટે પોલીસે અનેક વ્યવસ્થા કરી છે. સમગ્ર શહેરમાં કલમ 144 અમલમાં છે અને તમામ એન્ટ્રી પોઈન્ટ બ્લોક કરી દેવામાં આવ્યા છે.
સરકારે પહેલાથી જ ઈમરાન ખાનને આ વિરોધને મોકૂફ રાખવાની માંગ કરી છે. પીટીઆઈ સમર્થકોનું કહેવું છે કે ઈમરાન ખાન જ તેમને ઈસ્લામાબાદ જતા રોકી શકે છે. શુક્રવારે, પોલીસે દેશના વિવિધ શહેરોમાંથી સેંકડો પીટીઆઈ સમર્થકોની ધરપકડ કરી હતી, જેઓ પ્રદર્શનમાં સામેલ થવા માટે ઈસ્લામાબાદ આવી રહ્યા હતા.
કડક સુરક્ષા પ્રતિબંધો
આ પ્રદર્શન એવા સમયે થઈ રહ્યું છે જ્યારે ઈસ્લામાબાદમાં SCO (Shanghai cooperation Organization)ની બેઠક યોજાવાની છે. જેમાં SCOના સભ્યો ભારત, ઈરાન, કઝાકિસ્તાન, ચીન, કિર્ગિસ્તાન, પાકિસ્તાન, રશિયા, ઉઝબેકિસ્તાન અને તાજિકિસ્તાનના પ્રતિનિધિમંડળ ઈસ્લામાબાદ આવવાના છે. VVIP મુવમેન્ટની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન સરકારે ઈસ્લામાબાદની સુરક્ષા પાકિસ્તાની સેનાને સોંપી દીધી છે.
એસ જયશંકર પાકિસ્તાન જઈ રહ્યા છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે કહ્યું કે વિદેશ મંત્રી એસ જયશંકર આ મહિને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જશે. ડિસેમ્બર 2015 પછી કોઈપણ ભારતીય વિદેશ મંત્રીની આ પહેલી પાકિસ્તાન મુલાકાત હશે. પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ 2015માં અફઘાનિસ્તાન પર સુરક્ષા પરિષદમાં ભાગ લેવા ઈસ્લામાબાદ ગયા હતા.