પ્રશાસકોની સમિતિ (સીઓએ)એ ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, મહિલાઓ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનને લઈને વિવાદમાં ફસાયેલા સસ્પેન્ડેડ ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલની સજા નક્કી કરવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડ માટે એક લોકપાલની નિયુક્તિ કરવી જોઈએ. ન્યાયમૂર્તિ એસ એ બોબડે અને એ એમ સપ્રેની પીઠે કહ્યું કે, બીસીસીઆઈએ મામલામાં જેટલી પણ વચગાળાની અરજી કરી છે, તેની સુનાવણી આગામી સપ્તાહે કરાશે જ્યારે વરિષ્ઠ વકીલ પી એસ નરસિમ્બા મામલામાં ન્યાયમિત્રના રૂપમાં પદ સંભાળી લેશે. રાહુલ અને પંડ્યાએ કોફી વિથ કરણમાં મહિલા વિરોધી નિવેદનબાજી કરતા કહ્યું હતું કે, તેના ઘણી મહિલાઓ સાથે સંબંધ છે અને તેના માતા પિતાને તેના પર કોઈ વાંધો નથી. તેને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે નરસિમ્હાને ન્યાયમિત્ર નિયુક્ત કર્યા જ્યારે વરિષ્ઠ વકીલ ગોપાલ સુબ્રમણ્મયમે મામલામાં ન્યાયમિત્ર બનવા માટે આપેલી સહમતિ પરત લઈ લીધી હતી. સીઓએ તરફથી વરિષ્ઠ વકીલ પરાગ ત્રિપાઠીએ કહ્યું કે, ન્યાયાલયને લોકપાલને સીધી નિયુક્તિ કરવી જોઈએ કારણ કે, આ બંન્ને પ્રતિભાશાળી યુવા ક્રિકેટરોના ભવિષ્ય પર ઝડપી નિર્ણય કરવાનો છે. બીસીસીઆઈના કામકાજના સંચાલન માટે ન્યાયાલય દ્વારા નિયુક્ત ચાર સભ્યોના સીઓએમાંથી બે સભ્યોના રાજીનામાં બાદ હવે માત્ર બે સભ્યો વિનોદ રાય અને ડાયના એડુલ્જી બચ્યા છે. ત્રિપાઠીએ કહ્યું, રાહુલ અને અને પંડ્યા યુવા ખેલાડી છે અને તેના ભવિષ્યને લઈને ઝડપથી નિર્ણય લેવો જોઈએ. તેમણે એક ટીવી શો પર વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. સીઓએના બે સભ્યોનું માનવું છે કે તેની સજા પર નિર્ણય લેવા માટે લોકપાલની નિયુક્તિ કરવી જોઈએ. રાયે બંન્ને ક્રિકેટરો પર બે મેચના પ્રતિબંધનું સૂચન કર્યું પરંતુ એડુલ્જીએ મામલાને બીસીસીઆઈની કાયદાકીય શાખા સમક્ષ રાખ્યો છે, જેણે લોકપાલની નિમણૂંક કરવાની ભલામણ કરી છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.