રિશ્વતખોરી મામલામાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સીવીસી) સમક્ષ સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના હાજર થયા હતા. સીવીસીએ રાકેશ અસ્થાનાની પૂછપરછ કરી હતી. સીવીસી સમક્ષ અસ્થાનાએ પોતાનો પક્ષ મૂક્યો હતો અને પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોનો ઈન્કાર કર્યો હતો. સીવીસીના કેવી ચૌધરીએ અસ્થાનાની પૂછપરછ કરી હતી.
આલોક વર્મા અને રાકેશ અસ્થાનાને કેન્દ્ર સરકારે રજા પર ઉતારી દીધા છે. સીબીઆઈના અધિકારીઓએ કહ્યું કે અસ્થાનાએ સીવીસીના ચૌધરી સમક્ષ પોતાની જૂબાની નોંધાવી હતી. મહત્વના કેસોની તપાસ કરી રહેલા સીબીઆઈના અધિકારીઓની સીવીસીએ પૂછપરછ કરવામાં આવી હતી. આ તમામ અધિકારીઓના નામે રાકેશ અસ્થાનાએ કરેલી આલોક વર્મા વિરુદ્વની ફરીયાદમાં બહાર આવ્યા હતા.
અધિકારીઓએ કહ્યું કે સીબીઆઈના ઈન્સપેક્ટરથી લઈ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ડ સુધીના અધિકારીઓની તપાસ કરવામાં આવી હતી. સીબીઆઈ દ્વારા હાલ મોઈન કુરૈશી લાંચ પ્રકરણ, પૂર્વ રેલ મંત્રી લાલુપ્રસાદ યાદવ સાથે સંકળાયેલા આઈઆરસીટીસી કૌભાંડ અને પશુઓની તસ્કરીના કેસોની તપાસ કરવામાં આવી રહી છે.
સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યા હતા કે આલોક વર્મા પર મૂકવામાં આવેલા આરોપોની તપાસ સીવીસીનિ નિગરાની હેઠળ રિટાયર્ડ જજ પાસે કરવામાં આવે. વર્માએ સુપ્રીમ કોર્ટમાં સરકાર દ્વારા તેમને રજા પર ઉતારી દેવાના નિર્ણયને પડકારવામાં આવ્યો છે. આ કેસમાં દેવેન્દ્રકુમારનું નામ પણ બહાર આવ્યું હતું. દેવેન્દ્રકુમાર હાલ સીબીઆઈની હિરાસતમાં છે.
સીબીઆઈએ હૈદ્રબાદના વેપારી સના સતીષ બાબુ પાસેથી બે કરોડ રૂપિયાની લાંચ લેવામાં આવી હોવા અંગે રાકેશ અસ્થાના વિરુદ્વ કેસ દાખલ કર્યો હતો. મોઈન કુરૈશીની તપાસને અટકાવી દેવા માટે વચેટીયા તરીકે મનોજ પ્રસાદ અને સોમેસ પ્રસાદનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એફઆઈઆર દાખલ થતાં અસ્થાનાએ કેન્દ્રીય કેબિનેટ સચિવને આલોક વર્મા સહિતના અધિકારીઓ વિરુદ્વ ફરીયાદ કરી હતી.