રાજસ્થાન,મધ્યપ્રદેશ,છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ જેવા પાંચ રાજ્યોમાં થનારી વિધાન સભાની ચૂંટણી માટે મતદાનને જૂજ દિવસો બાકી છે ત્યારે આક્ષેપ-પ્રતિઆક્ષેપ શરૂ થઇ ગયા છે. તેલંગાણામાં ચુંટણી પ્રચાર દરમ્યાન AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ એવું નિવેદન આપ્યું છે જેની ચારેય તરફ ચર્ચા થઇ રહી છે.
ઓવૈસીએ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ પર આક્ષેપ કરતા કહ્યું કે ભાજપ ભારતને મુસ્લિમ મુક્ત બનાવવા માંગે છે. તેમને આરોપ લગાવ્યો છે કે આજે દેશમાં અલ્પસંખ્યકોને ડરાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.
જોકે, ઓવૈસી ભાજપ અધ્યક્ષ અમિત શાહના નિવેદન પર પલટવાર કરી રહ્યા હતા જેમા તેને કોંગ્રેસ મુક્ત ભારત અને મજલિસ (MIM) મુક્ત તેલંગાણાની વાત કરી હતી. બુધવારે રેલીને સંબોધિત કરતા ઓવૈસીએ કહ્યુ કે, અમિત શાહ આવીને તેલંગાણામાં બોલ્યા કે હૈદરાબાદને મજલિસથી મુક્ત કરીશ. કેમ મુક્ત કરશો? ક્યાંથી મુક્ત કરશો. તમે મજલિસ મુક્ત નહી તમે ભારતથી મુસલમાનોને મુક્ત કરવા માંગો છો. ભારતમાંથી મુસલમાનોનો સર્વનાશ કરવા માંગો છો.
ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશથી અલગ થયા બાદ તેલંગાણામાં પ્રથમ વખત વિધાનસભા ચુંટણી થઇ રહી છે. તેલંગાણાની 119 સીટ વાળી વિધાનસભામાં ચંદ્રશેખર રાવની પાર્ટી ટીઆરએસના 90 ધારાસભ્ય છે. ભાજપને માત્ર 5 ધારાસભ્યથી સંતોષ કરવો પડ્યો હતો. જ્યારે કોંગ્રેસને 13, ટીડીપીને 3, સીપીઆઇને એક સીટ મળી હતી. જ્યારે ઓવેસીની પાર્ટી AIMIMના 7 ધારાસભ્ય છે.