અંકલેશ્વર નગર પાલિકાની ત્રિમાસિક સામાન્ય સભા શનિવારે સભાખંડમાં પ્રમુખ વિનય વસાવા, ઉપપ્રમુખ,મુખ્ય અધિકારીના અધ્યક્ષ સ્થાને મળી હતી. સભામાં એજન્ડા ઉપર લેવાયેલા 21 કામો પૈકી મોટા ભાગના સર્વાનુમતે તો કેટલાક બહુમતીથી મતના જોરે મંજુર કરવામાં આવ્યા હતા.
સભામાં વિરોધ પક્ષના નેતા જહાંગીર પઠાણે 11 નંબરના તપાસ કમિટીના અહેવાલને લઈ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં વિપક્ષ કોંગ્રેસની ઉગ્ર ચર્ચા વચ્ચે સવાલોનો મારો ચાલ્યો હતો. સુકાવલી ડમપિંગ સાઇટે ચોરી, કચરાનો નિકાલ, જિનવાલા સ્કૂલમાં કામોમાં ગોબાચારી, સેનેટાઈઝર સહિતના મુદ્દે તપાસ કમિટીમાં જે તે સમયના શાસકો અને પદાધિકારીઓ જ હોય નવેસરથી તટસ્થ તપાસ કમિટી નિમિ અહેવાલ રજૂ કરવા વિરોધ પક્ષે હોબાળો મચાવ્યો હતો.
સભામાં પ્રમુખ સ્થાનેથી અંકલેશ્વર ઘેડિયા તળાવનું નામ બદલવાનું કામ મુકાયું હતું. હાલનું નામ અપમાનજનક લાગતું હોય તેના સ્થાને કમલમ નામકરણ કરવાનો પ્રસ્તાવ મૂકી મંજૂરી માટે મહોર મરાઈ હતી.
