ગૃહમાં ચોમાસું સત્ર દરમિયાન ખરાબ વ્યવહાર કર્યાનો આરોપ લગાવીને રાજ્યસભાના 12 સાંસદોને સમગ્ર શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તે ઉપરાંત સંસદની કાર્યવાહી પણ 30 નવેમ્બર એટલે કે, મંગળવાર સુધી માટે સ્થગિત કરી દેવામાં આવી છે.
સંસદના શિયાળુ સત્રના પહેલા દિવસે જ વિપક્ષના 12 સાંસદોને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ 12 સાંસદો સમગ્ર સત્ર દરમિયાન પાર્લામેન્ટમાં આવી શકશે નહીં. આ સાંસદોએ પાછલા સત્રમાં ખેડૂત આંદોલન સહિતના અન્ય કેટલાય મુદ્દાઓને લઈ સંસદના ઉચ્ચ સદનમાં ભારે હંગામો મચાવ્યો હતો.
આ દરમિયાન તેમણે ઉપ-સભાપતિ હરિવંશ પર કાગળ ફેંક્યા હતા અને ગૃહના કર્મચારીઓની સામે રાખવામાં આવેલા ટેબલ પર ચઢી ગયા હતા. આ સાંસદો પર કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી હતી જેના પર રાજ્યસભાના સભાપતિ એમ. વેંકૈયા નાયડુ દ્વારા નિર્ણય લેવાનો હતો.
જ્યારે સોમવારે સંસદ સત્ર ફરી શરૂ થયું તો સભાપતિ એમ. વેંકૈયા નાયડુએ પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. રાજ્યસભામાં આ વિપક્ષી સાંસદોનો ખૂબ જ આપત્તિજનક વ્યવહારનો ઉલ્લેખ કરતી વખતે સભાપતિ ભાવુક થઈ ગયા હતા. જેથી એવું લાગી રહ્યું હતુ કે, આ બાબતે સભાપતિ કોઈ આકરો નિર્ણય લેશે.
કોંગ્રેસના 6 સાંસદો સસ્પેન્ડ
જે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં કોંગ્રેસના 6 સાંસદોનો સમાવેશ થાય છે. જેમાં આર બોરા, ફુલો દેવી નેતામ, રાજમણિ પટેલ, અખિલેશ પ્રતાપ સિંહ, સૈયદ નાસિર હુસૈન અને છાયા વર્માનું નામે સામેલ છે.
તે ઉપરાંત સીપીએમના એલમરમ કરીમ, સીપીઆઈના વિનય વિશ્વમ, ટીએમસીના શાંતા છેત્રી અને ડોલા સેન જ્યારે શિવસેનાના પ્રિયંકા ચતુર્વેદી અને અનિલ દેસાઈને પણ સમગ્ર સત્ર દરમિયાન રાજ્યસભાની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.