આધાર્ક કાર્ડના કારણે લોકોના રેકોર્ડ રાખવામાં સરકારને ખુબ જ સરળતા થઈ ગઈ છે. તેવામાં હવે સરકાર જમીનો માટે પણ આધાર કાર્ડ લોન્ચ કરવાની પ્લાનિંગ બનાવી રહી છે.
જમીનના માલિકોને પણ આધાર કાર્ડની જેમ જમીનની 14 અક્ષરની એક ઓળખ આપવામાં આવશે. આ નંબરને ULPIN(UNIQUE LAND PARCEL IDENTIFICATION NUMBER) તરીકે ઓળખવામાં આવશે. આ નંબર તમામ બેન્કો અને સરકારી સંસ્થાઓ પાસે હશે. જે રીતે આધાર કાર્ડથી વ્યક્તિની ઓળખ થાય છે તે જ રીતે ULPINથી પણ જમીનની ઓળખ કરવામાં આવશે.
અક્ષાંક્ષ રેખાંશના આધારે જમીનના રેકોર્ડને ડિજિટલાઈઝ કરીને ULPIN તૈયાર કરવામાં આવશે. તે પછી તેને ઓનલાઈન કરવામાં આવશે.
જમીનના આધાર કાર્ડથી સામાન્ય વ્યક્તિને અનેક ફાયદા
એક વખત ULPIN મળ્યા બાદ જમીનની જાણકારી માટે રેવેન્યૂ ઓફિસના ધક્કા ખાવા પડશે નહીં. આ જમીનના ખરીદ વેચાણનો રેકોર્ડ પણ તેના આધારે ઓનલાઈન ઉપલબ્ધ રહેશે. તેનો પ્રિન્ટ આઉટ પણ લઈ શકાશે. ULPIN મળ્યા પછી જમીનના દસ્તાવેજમાં કોઈ જાતની છેડછાડ કરી શકાશે નહીં. તેથી જમીન અંગે થતી છેતરપિંડીઓથી પણ બચી શકાશે.
ULPINના કારણે જમીનના ઝઘડાઓમાં ધરખમ ઘટાડાઓ આવે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. કારણકે ખોટી રીતે જમીનનુ રજિસ્ટ્રેશન જમીન માલિક સિવાય બીજા કોઈના નામ પર કરી શકાશે નહીં. એક જ જમીન પર અલગ-અલગ બેન્કોમાંથી લોન પણ લઈ શકાશે નહીં.
દેશમાં લેન્ડ રેકોર્ડના ડિજિટલાઈઝેશનની 94 ટકા કામગીરી પુરી થઈ ગઈ છે. 5220 રજિસ્ટ્રેશન ઓફિસો પૈકી 4883ને ઓનલાઈન કરી દેવામાં આવી છે. 19 રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યાં છે. 13 રાજ્યોમાં સાત લાખ જમીનના હિસ્સાઓ માટે ULPIN પણ આપી દેવામાં આવ્યા છે.