રાજકોટ મનપાની ફૂડ વિભાગ દ્વારા ફરસાણ બનાવતા એકમો ઉપર ધરાયેલા ચેકિંગ દરમિયાન ચોંકાવનારી માહિતી સામે આવી છે અને કાઠીયાવાડી ટેસ્ટી ગાંઠિયા માં ડિટરજન્ટ એટલે કે કપડાં ધોવાનો પાવડર નો ઉપયોગ કરાયો હોવાનું સપાટી ઉપર આવ્યુ છે.
આ એકમો માં ચકાસણી કરતા ફરસાણ બનાવવા માટે કપડાં ધોવાના વોશિંગ પાઉડરનો ઉપયોગ થતો હોવાનું જણાતા ચકચાર મચી છે. રાજકોટ શહેરમાં આવેલી 5 પેઢી 1-વીર બાલાજી ફરસાણ, પેડક રોડ, 2-ભગવતી ફરસાણ સ્વીટ માર્ટ, ગોવિંદબાગ શાકમાર્કેટ, 3-ચામુંડા ફરસાણ, ગોવિંદબાગ શાક માર્કેટ રોડ, 4-ભારત સ્વીટ માર્ટ, દિગ્વિજય રોડ અને સ્વામિનારાયણ ફરસાણ, લક્ષ્મીવાડી મેઈન રોડ પેઢી પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ પાંચ પેઢીમાંથી ત્રણમાં વોશિંગ પાવડર સોડા 25 કિલો ઉપરાંત અલગ અલગ સ્થળેથી પાપડી 8 કિલો, સક્કરપારા 2 કિલો, પેંડા 4 કિલો, મોહનથાળ 10 કિલો, મોતીચુર લાડુ 3 કિલો, તીખી પાપડી 20 કિલો, તીખા ગાંઠીયા 22 કિલો, સૂકી કચોરી 4 કિલો, સમોસા 21 કિલો,તીખુ ચવાણું 8 કિલો જેવા અખાદ્ય ફરસાણ મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. ખાવાના સોડા કરતા વોશિંગ પાઉડર સસ્તો હોવાથી અને વેપારીઓ દ્વારા વધુ નફો કમાવવાની લાલચે ગાંઠિયામાં ખાવાના સોડાના બદલે વોશિંગ પાઉડરનો ઉપયોગ કરી સામાન્ય નાગરિકના આરોગ્ય સામે ચેડાં કરવામાં આવી રહ્યા હતા. આ ગાંઠિયા ખાવાથી લોકોના આંતરડા અને હોજરીમાં નુકસાન થવા સાથે કેન્સર થવાનો ખતરો રહે છે.
