ગઈકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. 1 લાખ 14 હજાર 193 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાથી માત્ર 31 હજાર 785 વિદ્યાર્થીઓ જ પાસ થયાં હતા. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 27.83 ટકા પરિણામ નોંધાયું છે. ત્યારે હવે આવતી કાલે ધોરણ 10ના રિપીટરોનું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. આવતીકાલે સવારે 8 વાગે બોર્ડની વેબસાઈટ www. gseb. org પર વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઈ શકશે. જ્યારે માર્કશીટ માટે બોર્ડ નવી તારીખ જાહેર કરશે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કેટલા ટકા વિદ્યાર્થીઓ પાસ થયા?
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 89 હજાર 106 રિપીટર વિદ્યાર્થીઓમાંથી 78 હજાર 215 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 19 હજાર 32 વિદ્યાર્થીઓ પાસ થયાં હતાં. જ્યારે વિદ્યાર્થીનીઓની વાત કરીએ તો 40 હજાર 727 વિદ્યાર્થીનીઓમાંથી 35 હજાર 439 વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 12 હજાર 564 વિદ્યાર્થીનીઓ પાસ થઈ હતી. જેમની ટકાવારી જોઈએ તો 35.45 ટકા છે. જ્યારે વિદ્યાર્થીઓમાં 24.31 ટકા વિદ્યાર્થીઓ જ પાસ થયાં છે. એટલે કે વિદ્યાર્થીનીઓ વધુ સંખ્યામાં પાસ થઈ છે. 20 ટકા પસિંગ ધોરણનો લાભ મેળવી પાસ થનાર વિદ્યાર્થીઓ પણ 113 છે.
ધો.12 સાયન્સના માત્ર 15 ટકા રિપીટર્સ જ પાસ થયા હતા
6 દિવસ પહેલા જાહેર થયેલા 12 સાયન્સના રિપીટર્સનું માત્ર 15 ટકા જ પરિણામ આવ્યું હતું. 12 સાયન્સના કુલ 30343 વિદ્યાર્થીઓએ જ પરીક્ષા આપી હતી. જેમાંથી માત્ર 4649 વિદ્યાર્થીઓ જ પાસ થયા હતા. A ગ્રુપમાં 7777 વિદ્યાર્થીઓને પરીક્ષા આપી હતી જેની સામે 1130 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે A ગ્રુપમાં 1425 માંથી 297 વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે. B ગ્રુપમાં 9554 માંથી 1151 વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. જ્યારે B ગ્રુપની 11578 વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 2071 વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે. AB ગ્રુપના 6 વિદ્યાર્થી અને 3 વિદ્યાર્થિની હતી જેમાંથી એક પણ પાસ થયા નથી .B કરતા A ગ્રુપનું પરિણામ વધુ છે. તે ઉપરાંત વિદ્યાર્થીઓને 20 ટકા પાસિંગ ધોરણનો લાભ આપવામાં આવેલ છે. જેમાં પાસ થનારની સંખ્યા માત્ર 9 છે.
રિપીટર્સે પરીક્ષા રદ કરવાની માંગ કરી હતી
કોરોનાની મહામારીમાં સૌથી વધારે અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર થઈ છે. મહામારીના કારણે ઘણા સમય શાળા-કોલેજો બંધ હતા. ધોરણ 10-12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને સરકારે આખરે માસ પ્રમોશન આપ્યું હતું. તેઓની પરીક્ષા કોરોનાના કારણે રદ કરવામાં આવી હતી. પરંતુ સરકારે ધોરણ 10 -12ના રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું નહોતું. જેથી તેમણે પણ માસ પ્રમોશનની માગ કરી હતી અને આ મામલે ન્યાય મેળવવા હાઇકોર્ટમાં PIL દાખલ કરી હતી. જો કે કોર્ટે પણ પરીક્ષા લેવા માટે છૂટ આપી હતી. જેથી 15 જુલાઈએ રિપીટર્સની પરીક્ષા યોજવામાં આવી હતી.
ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓનું 100 ટકા પરિણામ આવ્યું હતું
ધોરણ 12 સાયન્સમાં એક લાખ 7 હજાર 264 વિદ્યાર્થીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત 100 ટકા પરિણામ જાહેર થયું છે, જેમાં 3245 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 15 હજાર 284 વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવ્યો છે. A ગ્રુપમાં 466 વિદ્યાર્થીએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે, જ્યારે B ગ્રુપમાં 657 વિદ્યાર્થીએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે. અમદાવાદ શહેરમાં 109 વિદ્યાર્થી અને અમદાવાદ ગ્રામ્યમાં 73 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે. સૌથી વધુ 26,831 વિદ્યાર્થીએ B2 ગ્રેડ મેળવ્યો છે.