રાજકોટમાં આજે સવારે 5:30 વાગ્યે સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં 5 મહિનાના બાળકનું કોરોનાથી મોત થતા પરિવારનો શોકમાં ગરકાવ થયો છે. આ અંગે સિવિલ સુપરિટેન્ડેન્ટે કેસની તપાસ કરવા આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરનું જોખમ વર્તાવવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં નિષ્ણાતોના મતે ત્રીજી લહેર ત્રાટકવાનો અંદાજ છે અને ખાસ કરીને ત્રીજી લહેરમાં નાના બાળકોને વધુ અસર થવાનો ભય સેવાઈ રહ્યો છે. ત્યારે 5 મહિનાના બાળકનું કોરોનાથી મોત થતા શહેરીજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.પ્રાપ્ત વિગતો અનુસાર બાળકને 2 દિવસ પહેલા કોરોના થતા સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાળકને ચેપ ધોરાજીથી લાગ્યો હતો. બાળક અને તેના માતા છેલ્લા પાંચ મહિનાથી ધોરાજી હતા. હાલ જિલ્લા આરોગ્ય અધિકારી દ્રારા પરિવારજનોના RT-PCR રિપોર્ટ કર્યા છે. અને RMC ના આરોગ્ય વિભાગે પણ કોઠારિયા વિસ્તારમાં તપાસ હાથ ધરી છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, શહેરમાં ફરી ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવશે.બાળકોમાં શંકાસ્પદ લક્ષણ હોય તો તુરંત જ તેના ટેસ્ટ કરવામાં આવશે.સિવીલ હોસ્પિટલના બાળકોનો કોરોના વોર્ડમાં હાલમાં ૩ બાળકો શંકાસ્પદ,ત્રણેયના RTPCR ટેસ્ટ કરાવવામાં આવ્યા.
રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 42807 પર પહોંચી છે અને 16 દર્દી સારવાર હેઠળ છે.
