નવી દિલ્હીઃ દેશ જ્યારે કોરોના વાયરસ સામે લડી રહ્યો છે. ત્યારે સામાન્ય લોકો મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની આજે મળેલી ઓનલાઈન બેઠકમાં કોરોનાથી બચાવવા લોકોને આપવામાં આવતી રસી પરના જીએસટી દરમાં ઘટાડો કરવાનો કોઈ જ નિર્ણય લીધો નથી. રસી પર 5 ટકાના દરે જીએસટી વસૂલવામાં આવે છે. મિનિસ્ટરોનું એક ગ્રુપ આ મુદ્દે ચર્ચા-વિચારણા કરી તેમની ભલામણનો અહેવાલ આપશે, ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે. ભારત સરકારે મેડિકલ ઓક્સિજન, ઓક્સિજન કોન્સન્ટ્રેટર, કોવિડ ટેસ્ટિંગ કીટ પરને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ-જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દેવાનો નિર્ણય કર્યો છે.
આ જ રીતે વેન્ટિલેટર સહિતની કોરોનાના દર્દીઓ માટે વપરાતી મોંઘી વસ્તુઓ પરની ડયૂટી અંગે વિચારણાં કરવા માટે ગ્રૂપ ઓફ મિનિસ્ટરની રચના કરી છે. ગ્રૂપ ઓફ મિનિસ્ટર આઠ દિવસમાં સમગ્ર પરિસ્થિતિનો અભ્યાસ કરીને તેમને રિપોર્ટ જીએસટી કાઉન્સિલ સમક્ષ મૂકી દેશે.
ત્યારબાદ આ મુદ્દે આખરી નિર્ણય લેવામાં આવશે, એમ આ બેઠકમાં ભાગ લેનાર ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. બ્લક ફંગસની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી તમામ દવાઓ પર વસૂલવામાં આવતા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ માફ કરી દેવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું નાણાં મંત્રી નિર્મલા સીતારામને જાહેર કર્યું છે.
તેમણે જણાવ્યું હતું કે કોરોનાની અસર હેઠળ ગુજરાતની ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની આવકમાં ઘટાડો થવાની સંભાવના છે.ગુજરાત સહિતના તમામ રાજ્યની જીએસટીની આવકમાં થનારા ઘટાડાને સરભર કરી આપવા માટે કેન્દ્ર સરકારે રૂા. 1.58 લાખ કરોડની લોન લેવાનો અને તે લોનમાંથી ગુજરાતને રૂા.13000 કરોડની ચૂકવણી કરવાનો નિર્ણયલ લેવામાં આવ્યો છે. ગુજરાત સિવાયના રાજ્યોને પણ તેમની આવકમાં પડનારી ઘટના સમ પ્રમાણમાં નાણાંની ચૂકવણી કરવામાં આવશે. 2020-21ના વર્ષમાં ગુજરાતને અંદાજે રૂા. 9200 કરોડનું વળતર આપવામાં આવ્યું હતું.
વાર્ષિક રિટર્ન ફાઈલ કરવામાં પણ છૂટછાટ આપવામાં આવી છે.રૂા. 2 કરોડ સુધીનું વાર્ષિક ટર્નઓવર ધરાવનારાઓને માટે વાર્ષિક પત્ર ભરવાનું મરજિયાત કરી દેવામાં આવ્યું છે. તેમ જ વાર્ષિક રૂા. 5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા વેપારીઓને જીએસટીઆર 9-સી ભરવામાંથી મુક્તિ કે માફી આપવામાં આવી છે. આ જ રીતે રૂા. 5 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારીઓને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા પ્રમાણિત કરવામાં આવેલું રિકન્સિલિયેશન સર્ટિફિકેટ આપવાનું ફરજિયાત હતું, તેમાં ફેરફાર કરીને હવે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે પ્રમાણિત ન કર્યું હોય તેવું રિકન્સિલિયેશન સ્ટેટમેન્ટ (મેળવણું) રજૂ કરવાની છૂટ આપવામાં આવી છે. આ પગલું લઈને વેપારીઓ પરનો ખર્ચ બોજ ઓછો કરવામાં આવ્યો છે.
જહાજ રિપેર કરવા માટે આપવામાં આવતી સર્વિસને પણ હવે એક્સપોર્ટ ગણી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેના પર અત્યાર સુધી 18 ટકાના દરે ટેક્સ લેવામાં આવતો હતો તે ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવ્યો છે. આ જ રીતે રેસકોર્સ, ગેમ્બલિંગ, બેટિંગ અન ગેમિંગ પર કઈ રકમ પર ટેક્સ લેવો એ અંગે સ્પષ્ટ નિર્ણય પર આવી શકાય તે માટે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વડપણ હેઠળ એક કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી આઠ દિવસમાં આ મુદ્દે અહેવાલ તૈયાર કરીને જીએસટી કાઉન્સિલને સુપરત કરી દેશે. તેને આધારે કાઉન્સિલ આખરી નિર્ણય લેશે.
હોસ્પિટલ અનેસારવાર આપતી સંસ્થાઓને ડોનેશન તરીકે મફતમાં જ આપવા માટે વિદેશથી આયાત કરવામાં આવી રહેલી 22 જેટલી વસ્તુઓ પર લેવામાં આવતા આઈજીએસટી માફ કરી દેવાનો પણ જીએસટી કાઉન્સિલમાં નિર્ણય લેવામાં આવ્યો છે.
ઓક્સિજન કોન્સન્ટ્રેટર, ફ્લો મીટર, રેગ્યુલેટર, કનેક્ટર, ટયૂનર, ઓક્સિજન સ્ટોરેજ ટેન્ક, વેક્યુમ પ્રેશર સ્વિન્ગ એબ્સોર્પશન, પ્રેશર સ્વિન્ગ એબસોર્પેસન ઓક્સિજન પ્લાન્ટ, ક્રાયોજેનિક ઓક્સિજન એર સેપરેશન યુનિટ, ઓક્સિજન કેનિક્સ્ટર, ઓક્સિજન ફિલિંગ સિસ્ટમ, વેન્ટિલેટર, ઓક્સિજન સિલિન્ડર સહિતની વસ્તુઓ પરનો આઈજીએસટી માફ કરાયો છે.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના રિટર્ન ફાઈલ કરવામાં અને જીએસટીના નાણાં જમા કરાવવા માટે ચૂકવવાના થતાં વ્યાજમાં પણ રાહત આપવાનો નિર્ણય આજે મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવ્યો છે.લેટ ફીમાં પણ રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માર્ચ અને એપ્રિલ મહિના માટે આપવામાં આવેલી છૂટનો સમયગાળો વધુ એક મહિના માટે એટલે કે મે મહિના માટે પણ લંબાવી આપવામાં આવ્યો છે.
રૂપિયા પાંચ કરોડ પ્લસનું ટર્નઓવર ધરાવનારાઓ રિટર્ન ફાઈલ કરવાની નિર્ધારિત તારીખથી 15 દિવસ મોડું રિટર્ન ફાઈલ કરે તો તેમને વેરાની ભરવાની થતી રકમ પર નવ ટકાના દરે વ્યાજની ચૂકવણી કરવી પડશે. પંદર દિવસથી વધુ મોડું કરે અને 30 દિવસમાં રિટર્ન ફાઈલ કરે તો તેમને 18 ટકા વ્યાજ ચૂકવવાની ફરજ પડશે.