ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાની કપરી પરિસ્થિતિ છે બીજી તરફ અમદાવાદ સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સોની લાઈનો લાગેલી છે. આવી પરિસ્થિતિમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછતથી દર્દીઓના પરિવારે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બધા વચ્ચે એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્રીય પોર્ટ્સ, શીપીંગ અને વોટરવેઝ મંત્રી મનસુખ માંડવિયા દ્વારા રેમડેસીવીરની ઉપલબ્ધતા અંગે ઉભી થયેલી સ્થિતિને જોતા રેમડેસીવીર ઉત્પાદકો સાથે તા. 12 અને 13 માર્ચના રોજ ઉચ્ચ કક્ષાની મીટીંગ થઈ હતી. જેમાં, રેમડેસીવીરના ઉત્પાદન/સપ્લાય વધારવા અને તેની કિંમતમાં ઘટાડો કરવા અંગેના નિર્ણયો લેવાયા.
હાલમાં દેશના સાત રેમડેસીવીર ઉત્પાદકોની ક્ષમતા 38 લાખ વાઇલ પ્રતિમાસ છે. વધારાની 7 સાઈટ પર 10 લાખ વાઇલ પ્રતિમાસની પ્રોડક્શન કેપેસીટી ધરાવતા ૬ ઉત્પાદકોને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા ફાસ્ટ-ટ્રેક એપ્રુવલ આપી દેવામાં આવી છે. બીજી વધારાની 30 લાખ વાઇલ પ્રતિમાસની વ્યવસ્થા પણ ઉભી કરાઈ રહી છે. જેથી રેમડેસીવીરની ઉત્પાદન ક્ષમતા 78 લાખ વાઇલ પ્રતિમાસ નો ધરખમ વધારો થશે.
તા. 11 એપ્રિલ 2021માં રોજ DGFT દ્વારા રેમડેસીવીર પર તેના API અને ફોર્મ્યુલેશન માટે નિકાસ પ્રતિબંધિત કરાયો હતો. સરકારનાં હસ્તક્ષેપથી, રેમડેસીવીરના લગભગ 4 લાખ વાઇલ, કે જે એક્સપોર્ટ માટે બનાવાઈ રહી હતી, તેને સ્થાનિક/ઘરેલું માર્કેટની જરૂરીયાત માટે ડાયવર્ટ કરાઈ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કોવિડ સામેની લડાઇમાં સાથે જોડાતાં રેમડેસીવીરના ઉત્પાદનકર્તાઓને સ્વેચ્છાએ રેમડેસીવીરનો ભાવ રૂ.3500થી ઓછી કિંમતે આ અઠવાડિયાના અંત સુધીમાં ધટાડી દેશે. રેમડેસીવીરના ઉત્પાદકર્તાઓને સરકાર દ્વારા હોસ્પીટલોને જ પુરવઠો પૂરો પાડવા પ્રાધાન્યતા આપવા માટે નિર્દેશો અપાયા છે.
DGGI દ્વારા ભારત અને રાજયની એનફ્રૌર્સમેન્ટ ઓથોરીટીને કાળા બજારી, સંગ્રહખોરી અને ભાવ વધારો રોકવા માટે ઝડપી પગલાં લેવા માટે નિર્દેશો અપાયા છે. NPPA રેમડેસીવીરની ઉપલબ્ધતા અંગે સતત મોનીટરીંગ કરી રહ્યુ છે.