સનાતન ઘર્મમાં પૂર્ણિમા અને અમાસનું એક ખાસ મહત્વ હોય છે. કૃષ્ણપક્ષની અંતિમ તારીખે અમાસ આવે છે. જો આ અમાસ સોમવારે આવે તો તેને સોમવતી અમાસ કહેવાય છે. ચૈત્ર મહિનામાં સોમવતી અમાસ 12 એપ્રિલે 2021 છે.
જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ નાં જણાવ્યા અનુસાર સોમવારે અમાસ હોવાથી તેનું મહત્વ વધી જાય છે. આપણા ધર્મશાસ્ત્ર મુજબ સોમવતી અમાસે કરવામાં આવેલું દાન પુણ્ય અને પૂજાનું વિશેષનું મહત્વ છે. માન્યતા છે કે, સોમવતી અમાસે કરવામાં આવેલી પૂજા, ઉપવાસ, સ્નાન, દાનથી ઘરમાં સુખ,શાંતિ સમૃદ્ધિના આશિષ મળે છે.
જાણો, સોમવતી અમાસનું શુભમુહૂર્ત
સોમવતી અમાસની તારીખ – 12 એપ્રિલ 2021 સોમવાર
સોમવતી અમાસની શરૂઆત- 11 એપ્રિલ 2021, દિવસ રવિવાર સવારે 06 કલાકને 03 મિનિટ
સોમવતી અમાસની સમાપ્તી- 12 એપ્રિલ 2021, દિવસ સોમવાર સવારે 8 વાગ્યા સુધી
ધર્મશાસ્ત્રો અને પુરાણ મુજબ સોમવતી અમાસના દિવસે સ્નાન દાનની પરંપરા છે. આજના દિવસે ગંગા સ્નાન અને નર્મદા સ્નાનનું વિશેષ મહત્વ છે. જો તિર્થ સ્નાન શક્ય ન હોય તો કોઈ પણ નદીમાં સ્નાન કરીને શિવ પાર્વતીની પૂજા કરવી.તુલસીજીની પૂજાનું પણ વિશેષ મહત્વ છે. સોમવતી અમાસે તુલસીજીની પૂજા કરવી લાભદાયક માનવામાં આવે છે.
જો કુંડલીમાં પિતૃ દોષ હોય તો અમાસના દિવસે તર્પણ કરવાથી પિતૃના આશિર્વાદ મળે છે. પતિના દિર્ધાયુ માટે સુહાગન આજના દિવસે ઉપવાસ પણ કરે છે. સુખ સમૃદ્ધિ અને શાંતિના આશિષ મેળવવા માટે સોમવતી અમાસનો દિવસ ઉત્તમ માનવામાં આવે છે. સોમવતી અમાસમાં જે રીતે તુલસીજી અને પિતૃની પૂજા અર્ચનાનું મહત્વ છે. તેવી જ રીતે સોમવતી અમાસમાં શિવ ઉપાસના સાધનાનું પણ મહત્વ છે. સોમવતી અમાસના દિવસે મહાદેવને જલાભિષેક કરીને વિશેષ પૂજન અર્ચન કરવાથી વિશેષ ફળ મળે છે. સોમવતી અમાસના દિવસે શિવ મંદિર જઇને દર્શન અવશ્ય કરવા, પીપળાને જળ અર્પણ કરવાથી પણ પિતૃ પ્રસન્ન થાય છે.