ગાંધીનગર – ગુજરાતમાં વિધાનસભા 2017ની ચૂંટણી પછી કોંગ્રેસની સભ્યસંખ્યા ઘટતી રહી છે, જ્યારે ભાજપની સંખ્યા વધી રહી છે. આ ચૂંટણીમાં ભાજપને માત્ર 99 બેઠકો મળી હતી પરંતુ હવે ભાજપ પાસે 103 બેઠકો છે, જ્યારે કોંગ્રેસ 77માંથી 65ની સંખ્યા પર આવી ચૂકી છે.
ગુજરાતમાં 2017ની વિધાનસભાની ચૂંટણી પછી કોંગ્રેસે કુલ 14 ધારાસભ્યો ગુમાવ્યા છે. ત્રણ વર્ષમાં 10 પેટાચૂંટણીઓ થઇ છે અને હવે કોંગ્રેસના પાપે છ મહિનામાં બીજી આઠ બેઠકોની પેટાચૂંટણી થવાની છે.ગુજરાત વિધાનસભાની સ્થિતિ જોઇએ તો ભાજપના ત્રણ ધારાસભ્યો- થરાદના પરબત પટેલ, ખેરાલુના ભરતસિંહ ઠાકોર અને અમરાઇવાડીના હસમુખ પટેલના રાજીનામાંથી ખાલી પડેલી આ ત્રણ બેઠકો પર અનુક્રમે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને ભાજપના અજમલજી ઠાકોર અને જગદીશ પટેલ ચૂંટાઇ આવેલા છે, જ્યારે ઉંઝામાં કોંગ્રેસના બળવાખોર ધારાસભ્ય આશા પટેલ ફરીથી વિજેતા બન્યાં છે. રાધનપુરમાં બળવાખોર અલ્પેશ ઠાકોર હારી ગયા હતા અને તેમના સ્થાને કોંગ્રેસના રધુ દેસાઇ ચૂંટણી જીત્યા હતા. કોંગ્રેસના આ બન્ને ધારાસભ્યો ભાજપમાં જોડાઇ જતાં બેઠકો ખાલી પડી હતી.
એવી જ રીતે બાયડના કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રાજીનામું આપતાં બેઠક ખાલી પડી હતી પરંતુ તેઓ પેટાચૂંટણીમાં હારી ગયા હતા. આ બેઠક પર કોંગ્રેસના જશુ પટેલ ચૂંટણી જીત્યા હતા. એવી જ રીતે લુણાવાડાની બેઠકના રતનસિંહ રાઠોડ અપક્ષ ધારાસભ્ય હતા. આ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના જીગ્નેશ સેવકનો વિજય થયો હતો. એવી જ રીતે જામનગર-ગ્રામ્યના કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ રાજીનામું આપતાં તે બેઠક પર થયેલી પેટા ચૂંટણીમાં ભાજપના રાધવજી પટેલ ચૂંટાયા હતા.
બીજી તરફ કોંગ્રેસના જવાહર ચાવડાએ રાજીનામું આપતાં તેમની માણાવદર બેઠક ખાલી પડી હતી. આ બેઠકમાં ભાજપે કેબિનેટ મંત્રી બનાવેલા જવાહર ચાવડાને ટિકીટ આપતાં તેઓ ચૂંટણી જીતી ગયા હતા. આ સાથે જવાહર ચાવડા પહેલાં ભાજપમાં જોડાઇને બે કલાકમાં કેબિનેટ મંત્રી બનેલા કુંવરજી બાવળિયા પણ જસદણની પેટા ચૂંટણી જીતી ગયા હતા.
ગુજરાતમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી પછી 10 બેઠકો પર પેટા ચૂંટણી થઇ હતી જેમાંથી કોંગ્રેસના ભાગે ત્રણ બેઠકો આવી હતી. હવે સ્થિતિ એવી છે કે ગુજરાત વિધાનસભામાં આઠ બેઠકો ખાલી છે જેની પેટા ચૂંટણી છ મહિનામાં કરવાની થશે. આ આઠ બેઠકોમાં અબડાસા બેઠકમાં કોંગ્રેસના પ્રદ્યુમનસિંહ જાડેજા, લીંમડીના સોમા ગાંડા પટેલ, મોરબીના બ્રિજેશ મેરજા, ધારીના જેવી કાકડિયા, ગઢડાના પ્રવિણ મારૂ, કરજણના અક્ષય પટેલ, ડાંગના મંગળ ગામીત અને કપરાડાના જીતુ ચૌધરીનો સમાવેશ થાય છે. આ તમામ ધારાસભ્યોએ ભાજપને રાજ્યસભામાં મદદ કરવા રાજીનામાં આપી દીધાં છે.
ગુજરાત વિધાનસભા સ્કોરબોર્ડ પર લખવામાં આવ્યું છે કે દ્વારકાની પબુભા માણેકની બેઠક પર હાઇકોર્ટે ચૂંટણી રદ્દ કરી છે. મોરવા હડફની ભૂપેન્દ્ર ખાંટની બેઠક રાજ્યપાલે ખોટા એસટી સર્ટિફિકેટના કારણ ખાલી કરાવી છે. તલાલાના ભગવાન બારડ બે વર્ષથી વધુ સજા મેળવતાં બેઠક ખાલી પડી છે પરંતુ કોર્ટનો મનાઇહુકમ મળતાં સભાસદ ચાલુ છે. છેલ્લે ધોળકાની ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની બેઠક પર ગુજરાત હાઇકોર્ટે ચૂંટણી રદ્દ કરી છે પરંતુ સુપ્રીમ કોર્ટે મનાઇહુકમ આપતાં સભાસદ ચાલુ છે. એટલે કે વિધાનસભામાં ચાર બેઠકો વિવાદાસ્પદ છે.ગુજરાત વિધાનસભાની હાલની સ્થિતિ જોઇએ તો ભાજપના ધારાસભ્યોની સંખ્યા 103 છે. કોંગ્રેસના ધારાસભ્યો 65 રહી ગયા છે. બીટીપીના બે અને એનસીપીના એક ધારાસભ્ય છે. એક અપક્ષ ધારાસભ્ય છે જ્યારે ચૂંટણી રદ્દ થતાં એક અને ખાલી નવ બેઠકો ગણતાં કુલ 8 બેઠકોની પેટાચૂંટણી થાય તેવી સંભાવના છે.