ગાંધીનગર– ‘જેને સેવા કરવી હોય તેને નિવૃત્તિ નો વિચાર આવે નહીં… મારા પતિના અંતિમ સંસ્કાર સિવીલ તંત્રએ કર્યા… વિડીયો કોલીંગ દ્વારા નિહાળ્યા….દુ;ખ ચોક્કસ છે પરંતુ અફસોસ નથી…’ આ શબ્દો છે સિવીલ હોસ્પિટલના નર્સ ઉર્મિલાબેન પંચાલના….
‘કોરોના’ શબ્દએ કંઈક લોકોની જિંદગીમાં બદલાવ લાવી દીધો છે…પરંતુ સાચા સેવકો તેમના ધ્યેયમાં આજે પણ અડીખમ ઉભા છે. તેનો પ્રત્યક્ષ દાખલો એટલે સિવીલા હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા બજાવતા ઉર્મિલાબેન પંચાલ છે. ઉર્મિલાબેન પંચાલ 58માંવર્ષમાં પ્રવેશી ચુક્યા છે…પુત્ર અને પુત્રવધુ બેન્ને જણા મેડીકલ ક્ષેત્રમાં જ છે. દીકરી કેનેડા સેટલ થઈ છે…ઘર ખાધે-પીધે સુખી છે.
ઉર્મિલાબેનના પતિ નિવૃત્ત હતા… છેલ્લા ઘણા સમયથી તેઓ ઉર્મિલાબેનને કહેતા રહેતા કે આપણે હવે પૈસાની ક્યાં જરૂર છે…? સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લે..!’ એક વખત તો ઉર્મિલાબેનને પણ વિચાર આવ્યો કે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લઉ…! પણ એવા સમયે ‘કોરોના’ની એન્ટ્રી થઈ… ઉર્મિલાબેને ખુબ સાહજિકતાથી પતિ સુરેશભાઈને કીધુ કે ‘આ કોરોનાને જવા દો… અત્યારે સેવા કરવાનો સમય છે… મારું મન કહે છે કે અત્યારે સ્વૈચ્છિક નિવૃત્તિ ન લેવી જોઈએ…’ અને ઉર્મિલાબેને નોકરી ચાલુ રાખી….
ઉર્મિલાબેનને એક વખત તબિયત બગડતા કોરોનાનો ટેસ્ટ કરાવ્યો…પોઝીટીવ આવ્યો…જ્યાં દર્દીઓની સેવા કરતા હતા ત્યાંજ દાખલ થવાનો વારો આવ્યો.. થોડા દિવસ પછી પતિ સુરેશભાઈ પણ કોરોના પોઝીટીવ આવ્યા..તે પણ તે જ વોર્ડમાં દાખલ થયા…પુત્ર અને પુત્રવધુ એ બન્ને પણ પોઝીટીવ જણાતા હોમ કોરન્ટાઈન થયા… ક્રમશ: આખુ પરિવાર કોરોના પોઝીટીવ થયું… પણ એમણે ‘પોઝીટીવીટી’ ન છોડી….
એવામાં ઉર્મિલાબેનના પતિ સુરેશભાઈનું અવસાન થયું… અંતિમ સંસ્કાર કોણ કરે…? આખુ ઘર ‘કોરોના’ની ઝપટમાં હતું. ઉર્મિલાબેને હોસ્પિટલના એસઆઇ જૈમિનભાઈને વાત કરી કે તમે મારા પતિના અંતિમ સંસ્કાર કરો…પણ મારી ઈચ્છા છે કે મારે આખી અંતિમવીધી જોવી છે…. જૈમિનભાઈ અને અન્ય પાંચ સેવા નિષ્ઠ મિત્રોએ આખી વાત ઉપાડી લીધી…અને સુરેશબાઈના અંતિમ સંસ્કાર થયા….તેમનો દેહ પંચમહાભુતમાં વિલીન થયો….
ઉર્મિલાબેન કહે છે કે, ‘મારા પતિની બહુ ઈચ્છા હતી કે હું સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ લઉ… પણ મારુ મન ના માન્યું… મને સતત થયા કરતું કે આખી જિંદગી દર્દીઓની સેવામાં કાઢી છે અને અણીના સમયે મેદાન છોડી દઉ… એ સારુ ન કહેવાય…
મારા પતિની સ્વૈચ્છિક નિવૃત્તિની ઈચ્છા હું તેમના જીવતા જીવે ન પુરી કરી શકી.. તેનું દુ;ખ ચોક્કસ છે…પરંતુ અફસોસ નથી કેમકે.. મેં છેક સુધી દર્દીઓની સેવા કરી છે…અને હજી કરતી રહીશ’ જો કે મારી ઈચ્છાને માન આપીને સિવીલ હોસ્પિટલ તંત્રએ મારા પતિના વિધીપૂર્વક અંતિમ સંસ્કાર કર્યા… એટલું જ નહી તેમના અસ્થિ લાવવાની અંતિમ જવાબદારી પણ નિભાવી….સલામ છે તંત્રની સંવેદનશીલતાને…’


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.