ગાંધીનગર – ગુજરાતમાં કોરોનાના સંક્રમણ વચ્ચે આ વર્ષે ચોમાસામાં 96 થી 104 ટકા જેટલો વરસાદ થશે તેવું અનુમાન હવામાન નિયામક જ્યંત સરકારે કર્યું છે. તેમણે કહ્યું છે કે આ વખતે ચોમાસા દરમ્યાન ઘણી જગ્યાએ ભારે વરસાદની વકી છે. આજે તેમણે ગુજરાતના ચોમાસા અંગે રાજ્યના ચીફ સેક્રેટરી અનિલ મુકિમ અને અન્ય અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
ગાંધીનગરમાં સંપૂર્ણ સામાજિક અંતર સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી પ્રિમોન્સૂનની તૈયારી અંગે સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મૂકીમે જણાવ્યું હતું કે હાલમાં ગુજરાત સહિત સમગ્ર દેશ કોરોના મહામારી સામે જંગ લડી રહ્યો છે. આ સ્થિતિમાં આગામી ચોમાસાની ઋતુમાં સંભવિત વરસાદ, પૂર અને વાવાઝોડા સામે રાહત અને બચાવની કામગીરીમાં વહીવટીતંત્રે PPE કીટ, માસ્ક, સામાજિક અંતર જેવી તમામ બાબતોનું ખૂબ સાવચેતીપૂર્વક પાલન કરવું પડશે.
આ બેઠકમાં ઉપસ્થિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓએ સંબંધિત વરસાદની સ્થિતિને પહોંચી વળવા તેમના એક્શન પ્લાન રજૂ કર્યા હતા જેમાં મુખ્ય સચિવે જરૂરી સૂચનો કર્યા હતા. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના નિયામક જયંત સરકારે જણાવ્યું હતું કે આ વર્ષે ગુજરાત સહિત દેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં 96 થી 104 ટકા જેટલો વરસાદ થવાની સંભાવના છે.
દેશમાં કેરળ ખાતે સંભવિત 5મી જૂને વિધિવત ચોમાસાનું આગમન થશે, ત્યારબાદ 15 દિવસે એટલે કે 18 થી 20 જૂને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થશે. આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે સંભવીત વરસાદની પરિસ્થિતિમાં પુર અને વાવાઝોડામાં રાહતની કામગીરી દરમિયાન વિવિધ સુરક્ષાઓની તૈયારીઓ અને તેમને સાવચેતીના ભાગરૂપે રાખવાને થતી કાળજી અંગે તેમજ જરૂરી સૂચનો કર્યા હતા.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે યોજાયેલ પ્રિમોન્સૂન અંગેની વિડિયો કોન્ફરન્સમાં મુખ્ય સચિવ અનિલ મુકિમે તેમની ઓફિસમાંથી જ્યારે વિવિધ ઉચ્ચ અધિકારીઓએ સ્વર્ણિમ સંકુલમાં આવેલા તાપી હોલમાંથી આ બેઠકમાં ભાગ લીધો હતો. આ પ્રિમોન્સૂન બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘ, રાહત કમિશનર કે.ડી. કાપડિયા સહિત વિવિધ વિભાગો જેવા કે આરોગ્ય, સિંચાઈ, કૃષિ, માર્ગ અને મકાન, પાણી પુરવઠો, અન્ન અને નાગરિક પુરવઠા, વન, બંદરો અને વાહન વ્યવહાર, પંચાયત, ઉર્જા, શ્રમ, ઉદ્યોગ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, પશુપાલન, શહેરી વિકાસ તેમજ માહિતી ખાતાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.