ગાંધીનગર — કોરોના વાઇરસ સામે પ્રતિકારક શક્તિ મેળવવા માટે આયુષ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા અને જાગૃતિના કારણે આયુર્વેદિક દવાઓ બનાવતી ગુજરાતની કંપનીઓની ઉત્પાદન કામગીરીમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા ત્રણ મહિનામાં ગળો, સુદર્શન, દશમૂલ સહિતની પ્રોડક્ટ્સની માંગમાં 300 ટકાથી વધારે વૃદ્ધિ થઈ છે.
લોકડાઉનના સમયમાં અનેક કંપનીઓમાં કામકાજ અટક્યું છે અને ટ્રાન્સપોર્ટેશન સેવાઓ હજુ પૂર્વવત્ થઈ નથી તેથી સમસ્યાઓ પણ આવી રહી છે. માંગ પ્રમાણે પુરવઠો નહીં જળવાય તો આયુર્વેદની દવાઓની અછત સર્જાય તેવી સ્થિતિને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે આયુર્વેદની દવા બનાવતી કંપનીઓને ઉત્પાદન વધારવાની સૂચના આપી છે.
ગુજરાત આયુર્વેદિક ઔષધ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન (ગામા)ના પ્રમુખ પ્રબોધ શાહે જણાવ્યું હતું કે, “કોરોના વાઇરસના કારણે ચીન અને યુરોપમાં સ્થિતિ ખરાબ થઈ ત્યારથી જ ગુજરાતમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરતી આયુર્વેદિક પ્રોડક્ટ્સની માંગમાં વધારો થયો હતો. અનેક કંપનીઓ આખા વર્ષમાં જેટલું વેચાણ કરતી હતી તેના કરતાં વધારે વેચાણ છેલ્લા ત્રણ મહિનામાં કર્યું છે. ગળો કે સુદર્શનના વાર્ષિક 100-150 કિગ્રા એક્ષ્ટ્રેક્ટનો ઉપયોગ થતો હોય તે કંપનીઓએ બે-ત્રણ મહિનામાં જ 400 કિગ્રાથી વધારે એક્ષ્ટ્રેક્ટનો ઉપયોગ કર્યો છે. જોકે, ટ્રાન્સપોર્ટેશન અને રો-મટિરિયલની સમસ્યા કેટલીક જગ્યાએ જોવા મળી રહી છે.”
ગુજરાતમાં લગભગ 500થી વધારે આયુર્વેદિક ઉત્પાદકો છે અને તે પૈકી માત્ર શાસ્ત્રોક્ત આયુર્વેદિક ઔષધો બનાવતા યુનિટોની સંખ્યા લગભગ 300 જેટલી છે. ગુજરાતમાં આયુર્વેદિક ઔષધોના રો-મટિરિયલ પણ ઉપલબ્ધ છે અને દર વર્ષે અનેક નવા યુનિટો આવી રહ્યા છે. ગુજરાતના અનેક ઉત્પાદકો ચીન, મલેશિયા અને યુરોપ તથા યુએસમાં પણ પ્રોડક્ટ્સ નિકાસ કરે છે.
કોરોનાની દવા શોધાઈ નથી ત્યારે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લોકો આયુર્વેદિક દવાઓનો વિશેષ ઉપયોગ કરી રહ્યા છે. છેલ્લા થોડા સમયમાં વેચાણમાં ચાર ગણો વધારો થયો છે. ગિયોલ ઘનવટી, લીમડાના ગળાની માંગમાં ઘણો વધારો થયો છે અને ગુજરાતમાં આ પ્રોડક્ટ્સની અછત સર્જાઈ છે. અશ્વગંધા, મૂસળી અને ચ્યવનપ્રાશની માંગ પણ વધી છે.
રોગ પ્રતિકારક શક્તિ વધારતી પ્રોડક્ટ્સ સુદર્શન, ગળો ઘનવટી અને સમશમવટી, દશમૂલાદિક સહિતની પ્રોડક્ટ્સની માંગ 400 ટકા હોવાથી મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને ઉત્તરપ્રદેશથી માલ રવાના કરવામાં આવે છે પરંતુ રો-મટીરિયલની મોટી સમસ્યા છે. ફેક્ટરીમાં કામદારો નથી તેથી અછત સર્જાઇ શકે છે.
આયુર્વેદ વિભાગના એક ડોક્ટરે કહ્યું હતું કે ગળો, મહાસુદર્શન, દશમૂલ, ભારંગિયાદી, ત્રિભુવનકીર્તિરસ, સંજીવનીવટી, ચ્યવનપ્રાશ સહિતની પ્રોડક્ટ્સની માંગમાં તીવ્ર વધારો થયો છે. આખા વર્ષમાં જે વેચાણ થતું હતું તેનું ત્રણ ગણું વેચાણ નોંધાયું છે. ઇમ્યુનિટી વધારવા માટે લોકો આયુર્વેદ તરફ વળ્યાં છે.