ગાંધીનગર- ગુજરાતના ચાર શહેરોને 25મી માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વાયરસની સ્થિતિના મુકાબલે માટે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા શહેરોમાં દવાની દુકાનો, તબીબી ઉપરકણો, શાકભાજી અને કરિયાણાનું વેચાણ કરતી દુકાનો કે સંસ્થાઓ સિવાની તમામ આવશ્યક સેવાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારની કચેરીઓ-બોર્ડ નિગમો-સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વર્ગ-2 થી 4 ના કુલ કર્મચારી ગણના 50 ટકા કર્મચારીઓને 29 માર્ચ-2020 સુધી રોટેશનલ બેજીઝ પ્રમાણે ફરજ પર આવવાનું રહેશે. ગાંધીનગરમાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે ચાર શહેરોમાં ઇન્ફેકશન આઇસોલેશન હોસ્પિટલ કોરોના અસરગ્રસ્ત વ્યકિતઓની સારવાર માટે તાત્કાલિક ધોરણે કાર્યરત કરાશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યમાં સર્જાયેલી કોરોના વાયરસની પરિસ્થિતીની ઉચ્ચસ્તરીય કોર કમિટીની બેઠકમાં સમીક્ષા કરી સ્થિતીનો તકાજો મેળવ્યો હતો. કોરોના વાયરસનો વ્યાપ સામાન્યત: બીજા અને ત્રીજા સ્ટેજમાં વધતો હોવાનો ટ્રેન્ડ વિશ્વમાં જોવા મળ્યો છે તે સંદર્ભમાં ગુજરાતમાં તેનો વ્યાપ વધુ ફેલાતો અટકાવવાની તકેદારી-સતર્કતા રૂપે આ બેઠકમાં કેટલાક અતિ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીએ આ બેઠકમાં જણાવ્યું કે, આ વાયરસનો ફેલાવો એકબીજાના સંપર્કમાં આવવાથી થતો હોવાથી રાજ્યના નાગરિકો ભીડભાડ વાળી જગ્યાએ કે જાહેર સ્થળોએ જઇને અન્યોના સંપર્કમાં ન આવે તે હેતુસર રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, આગામી બુધવાર, 25મી માર્ચ-2020 સુધી રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં દૂધ, શાકભાજી, ફળફળાદી, કરિયાણું, પ્રોવિઝનલ સ્ટોર્સ તેમજ મેડીકલ સ્ટોર્સ, દવાખાના, હોસ્પિટલ, લેબોરેટરી, મેડીકલ સાધનોની ઉત્પાદક કંપની, ફાર્મસી અને આરોગ્યલક્ષી સેવાઓ ચાલુ રાખી શકાશે.
આ ઉપરાંત અન્ય આવશ્યક સેવાઓ જેમાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન, પંચાયત સેવાઓ, વિજળી અંગેની સેવાઓ, વીમા કંપની, ઇન્ટરનેટ, ટેલિફોન અને આઇ.ટી. સંબંધિત સેવાઓ બેન્ક, એ.ટી.એમ., બેન્કના કલીયરીંગ હાઉસ તથા સ્ટોક એક્ષચેન્જ અને તમામ આવશ્યક વસ્તુઓના ગોડાઉન તથા અન્ય અતિ આવશ્યક સેવાઓ, રેલવે, ટ્રાન્સપોર્ટ સેવા, પેટ્રોલ પંપ, પાણી પુરવઠો અને ગટર વ્યવસ્થા તંત્ર તથા મીડીયા સમાચારપત્રો, ખાદ્ય પદાર્થો અને ખાદ્ય સામગ્રી, દવાઓ, પેસ્ટકંટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા તથા તેને લગતા ઇ-કોમર્સ સાથે સંકળાયેલી દુકાનો-સંસ્થાઓ જ ચાલુ રહેશે.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આવશ્યક સેવાઓના કર્મચારીઓ-અધિકારીઓ તેમજ આવશ્યક-તાત્કાલિક સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ-અધિકારીઓ અને કોરોના વાયરસના ચેપ નિયંત્રણ કરવાની કામગીરી સાથે સીધા સંકળાયેલા કર્મચારીઓને આ રોટેશનલ બેજીઝ પ્રથા લાગુ પડશે નહિ અને આ દિવસો દરમિયાન ફરજ પર રાબેતા મુજબ આવવાનું રહેશે.
અમદાવાદમાં સિવીલ હોસ્પિટલ સંકુલમાં આવેલી 1200 બેડની નવિન હોસ્પિટલને કોરોના વાયરસના પોઝિટીવ કેસીસની સારવાર માટે ઇન્ફેકશન આઇસોલેશન હોસ્પિટલ તરીકે કાર્યરત કરવામાં આવશે તેવો નિર્ણય લેવાયો હતો. આ હોસ્પિટલ આગામી સોમવારથી કાર્યરત થઇ જાય તે માટે મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજકુમારને વિશેષ જિમ્મેદારી સોપવામાં આવી છે.
આ ઉપરાંત રાજ્યના અન્ય ત્રણ મહાનગરો પૈકી રાજકોટમાં 250 બેડ, વડોદરામાં 250 બેડ તથા સુરતમાં 500 બેડની હોસ્પિટલ ‘ઇન્ફેકશન આઇસોલેશન હોસ્પિટલ’ તરીકે ત્વરાએ કાર્યરત કરી દેવાની સૂચનાઓ આપવામાં આવી છે.
રાજ્યમાં કોરોના વાયરસની વર્તમાન સ્થિતીમાંથી જો ફેલાવો કે વ્યાપ વધે અને અસરગ્રસ્તોની સંખ્યા પણ વધે તો આવા સંક્રમિત રોગીઓના જરૂરી મેડીકલ ટેસ્ટ, સારવાર સુવિધાના અદ્યતન સાધનો, વેન્ટીલેટર્સ વગેરેની તાકીદની જરૂરિયાતોની ખરીદી માટે નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવશ્રીની અધ્યક્ષતામાં ચાર ઉચ્ચ સચિવોની હાઇપાવર કમિટીને આ માટેની સર્વગ્રાહી સત્તા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
કોર કમિટીની આ બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મૂકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, શહેરી વિકાસ અધિક મુખ્ય સચિવ મૂકેશ પૂરી, અગ્ર સચિવ એમ. કે. દાસ, કમલ દયાની, જ્યંતિ રવિ, સચિવ અશ્વિનીકુમાર, હારિત શુકલા અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે ઉપસ્થિત હતા.