NEET UG Exam 2024 ના પેપર લીક કેસમાં સુપ્રીમ કોર્ટે મંગળવારે (18 જૂન, 2024) એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે જો સિસ્ટમ સાથે છેડછાડ કરનાર વ્યક્તિ ડૉક્ટર બની જાય તો તે ખોટું હશે. આ વર્ષે લેવાયેલી NEET પરીક્ષામાં ગોટાળાના આક્ષેપો થયા છે, જેના કારણે દેશભરમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ વિરોધ કરી રહ્યા છે. તપાસની માંગણી સાથે સુપ્રીમ કોર્ટમાં પિટિશન પણ દાખલ કરવામાં આવી છે. આ મામલે આજે પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે.
NTAનું કહેવું છે કે આ મામલાની તપાસ માટે 4 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે અને આ મામલો માત્ર 1600 વિદ્યાર્થીઓનો છે, 24 લાખ ઉમેદવારોનો નથી. હવે પરીક્ષામાં ગોટાળાનો મુદ્દો પણ રાજકીય રંગ લેવા લાગ્યો છે અને આ ચર્ચામાં અનેક પક્ષો કૂદી પડ્યા છે. પરીક્ષા રદ કરીને પુનઃ પરીક્ષા યોજવા ચારે બાજુથી માંગણીઓ થઈ રહી છે. સૌથી મોટો પ્રશ્ન પરીક્ષા રદ કરવાનો છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ બુધવારે (19 જૂન) UGC-NET પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી. એજન્સીને પ્રથમદર્શી સંકેતો મળ્યા છે કે પરીક્ષાની અખંડિતતા સાથે ચેડા કરવામાં આવ્યા છે.
શિક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “પરીક્ષા પ્રક્રિયાની સર્વોચ્ચ સ્તરની પારદર્શિતા અને પવિત્રતા સુનિશ્ચિત કરવા માટે, ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે UGC-NET જૂન 2024ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે.” નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, “નવી પરીક્ષા હાથ ધરવામાં આવશે, જેના માટે અલગથી માહિતી શેર કરવામાં આવશે. સાથે જ, આ કેસને સંપૂર્ણ તપાસ માટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને સોંપવામાં આવી રહ્યો છે.”