Congress:અંતે અટકળોનો અંત આવ્યો અને રાહુલ ગાંધીએ રાયબરેલીની બેઠક જાળવી રાખી અને વાયનાડને અલવિદા કરી દીધી, જો કે, પ્રિયંકા ગાંધી વાડ્રાએ ‘વાયનાડના મતદારોને રાહુલ ગાંધીની ખોટ સાલવા નહીં દઉ’ તેવું કહીને ઉત્તર-દક્ષિણ ભારતમાં કોંગ્રેસની મજબૂતીની બુનિયાદ રચી દીધી છે.
ઘણાં સમયથી બે પ્રકારની અટકળો ચાલતી હતી.
દક્ષિણ ભારતના ઘણાં કોંગી નેતાઓ રાહુલ ગાંધી વાયનાડની બેઠક જાળવી રાખે, તેવું ઈચ્છતા હતાં, તો સોનિયા ગાંધીના વારસા સમી રાયબરેલીની બેઠક જાળવી રાખવાનો મહત્તમ કોંગીજનોનો અભિપ્રાય હતો. બીજી તરફ પ્રિયંકા ગાંધી વડ્રાએ ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસના મહાસચિવ તરીકે ઘણું ખેડાણ કર્યું છે અને તેઓ યુપીમાં વધુ રહેતા હોવાથી પ્રિયંકા ટાંધી વાડ્રા રાયબરેલીથી ચેટાચૂંટણી યોજાય, તો સરળતાથી જીતી જાય, તેવી ગણતરીથી પ્રિયંકા ગાંધી માટે રાહુલ ગાંધી રાયબરેલીની બેઠક ખાલી કરશે, તેવી અટકળો હતી, અને વાયનાડના મતદારોને માઠું લાગી ન જાય, તેવો તર્ક પણ હતો.
આ તરફ સામાન્ય કોંગીજનોના મંતવ્ય મુજબ રાયબરેલીની પરંપરાગત બેઠક જાળવી રાખવી અને સોનિયા ગાંધીની દાયકાઓ જુની રાજકીય ભૂમિ પરથી કોંગ્રેસ માટે સત્તાના દ્વાર ખોલવાનું ગણિત પણ હતું. આ કસમકસનો ઉકેલ કોંગ્રેસે એવી રીતે કાઢ્યો કે રાહુલ ગાંધી રાયબરેલીની બેઠક જાળવી રાખે અને પછી તેમણે વાયનાડથી ખાલી કરેલી બેઠક પર પ્રિયંકા ગાંધી ચૂંટણી લડીને વિજયી બને જેથી ઉત્તર અને દક્ષિણમાં કોંગ્રેસ વધુ મજબુત બને.
જો વાયનાડમાંથી પ્રિયંકા ગાંધી પણ ચૂંટણી જીતી જાય તો તેઓને લોકસભામાં વિપક્ષના નેતા બનાવવાની પણ શક્યતા છે,
જો કે પૂર્વ અને પશ્ચિમ ભારત તથા મધ્યભારતમાં કોંગ્રેસે હજુ ઘણી વધુ મહેનત કરવી પડે તેમ છે. પંજાબ અને ઉત્તર પ્રદેશમાં પણ હવે ‘એકલા ચલો રે’ની નીતિ અપનાવી કે પછી ઈન્ડિયા ગઠબંધનના ભાગ તરીકે આગળ વધવું તે નક્કી કરવાનું છે. ઘણા કોંગીજનો એવું પણ માને છે કે જ્યારે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ જ્યાંં એકલા લડી હતી, ત્યાં વધુ ફાયદો થયો હોય, તો તેનું આંકલન કરીને જ યોગ્ય નિર્ણય લેવો જોઈએ, જેથી યુપીએ અને એનડીએની મજબૂત સરકારોના બદલે ભવિષ્યમાં કોંગ્રેસની બહુમતીવાળી સરકાર બને અને ૧૯૭૦-૮૦ નો દાયકો દોહરાવી શકાય.
જો કે, વાયનાડ બેઠક છોડવાના રાહુલ ગાંધીના નિર્ણયની દક્ષિણ ભારતના એનડીએના વર્તુળો ટીકા કરવા લાગ્યા છે અને વાયનાડની બેઠક છોડીને ત્યાંના મતદારો સાથે છેતરપિંડી થશે, તેવું ગાણું ગાઈ રહ્યા છે, ત્યારે કોંગ્રેસ તરફથી પણ ભૂતકાળમાં વડોદરા છોડીને વારાણસી પસંદ કરનાર નરેન્દ્ર મોદીએ મતદારોનો દ્રોહ નહોતો કર્યો, તેવો પ્રશ્ન ઊઠાવી રહ્યા છે,