TET-TAT: છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવાને બદલે કરાર આધારિત જ્ઞાનસહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. જેને લઈને ઉમેદવારોના ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઉમેદવારો હવે લડી લેવાના મૂડમાં છે. ત્યારે આજે (18મી જૂન) TET-TATના પાસ ઉમેદવારો ગાંધીનગર ખાતે આવેલા પથિકાશ્રમ પાસે એકઠા થયા હતા અને આંદોલન શરૂઆત કરી હતી. જેને પગલે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને ઉમેદવારોની ટિંગાટોળી કરી અટકાયતનો દૌર શરૂ કર્યો હતો.
આંદોલનનો ફિયાસ્કો થઈ ગયો
ટેટ-ટાટ પાસ હજારો ઉમેદવારો લાબા સમયથી કાયમી ભરતીની રાહ જોઈ રહ્યા છે પરતું રાજ્ય સરકાર દ્વારા કરાર આધારિત જ્ઞાનસહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. જેને લઈને ઉમેદવારો આજે ગાંધીનગર ખાતે આંદોલન શરૂઆત કરી હતી. પરંતુ તાત્કાલિક પોલીસ એક્શન મોડમાં આવી જતા આંદોલનનો ફિયાસ્કો થઈ ગયો હતો.
TET-TAT પાસ થયેલા ઉમેદવારોને કાયમી નોકરી આપો: જિગ્નેશ મેવાણી
ગાંધીનગરમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આવ્યા છે. આ મામલે તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર ખાલી પડેલા હોદ્દા પર તો ભરતી કરતી નથી. ટેટ-ટાટના ઉમેદવારો લાંબા સમયથી રજૂઆત કરી રહ્યા છે. 70 હજારથી વધુ શિક્ષકોની ઘટ છે. ત્યારે 90 હજાર ટેટ-ટાટ પાસ થયેલા ઉમેદવારોને કાયમી નોકરી આપો. ઉમેદવારો લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે. પરંતુ સરકાર તેની સાથે ચર્ચા કરવા માગતી નથી. જો સરકાર આ અંગે તાત્કાલિક નિર્ણય નહીં કરે તો આગામી દિવસોમાં અમદાવાદમાં એક રેલીનું આયોજન કરી વિરોધ કરીશું.