i-Khedut જિલ્લાના તમામ ખેડૂતો માટે બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૪- ૨૫માં નવી ત્રણ યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના, ફળ પાકોના જુના બગીચાને નવ સર્જન કરવા માટેની યોજના અને પપૈયા ફળ પાક ઉત્પાદકતા વધારવાના કાર્યક્રમની યોજના. આ નવી ત્રણ યોજના માટે અરજીઓ મેળવવા આઇ-ખેડૂત પોર્ટલ તા.૧૪/૦૬/૨૦૨૪ થી ખુલ્લુ મુકાયુ છે. જે તા.૧૩/૦૮/૨૦૨૪ સુધી ખુલ્લું રહેશે. જેથી જિલ્લાના તમામ પ્રકારના ખેડૂતોએ ઉક્ત યોજનાઓનો લાભ લેવા માટે https://ikhedut.gujarat.gov.in વેબસાઇટ પર પોતાના ગામના ઇ-ગ્રામ સેન્ટર કે કોઇ ખાનગી ઇન્ટરનેટ ઉપરથી ઓનલાઇન અરજી કરી શકાશે.
અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢી નિયત જગ્યાએ ખેડૂતે સહી/ અંગુઠાનું નિશાન કરી નિયત સમયમાં જરૂરી સાધનિક કાગળ જેવા કે, ૭-૧૨, ૮-અ ના નવા ઉતારા, IFSC કોડ વાળી બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક, આધાર કાર્ડની નકલ, અનુસૂચિત જાતિના ખેડૂતોને જાતિ અંગેનું પ્રમાણપત્રની નકલ તેની પાછળ બિડાણ કરી નિયત સમયમાં કચેરીના કામકાજના દિવસે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, વલસાડ, પહેલો માળ, શ્રમજીવી વિદ્યા મંદિર, એચ.ડી.એફ.સી. બેંકની સામેની ગલી, તિથલ રોડ, વલસાડ, જિ. વલસાડ-૩૯૬૦૦૧ ખાતે સમય મર્યાદામાં જમા કરવાનું રહેશે. જરૂરી સાધનિક કાગળો વિનાની તેમજ નિયત સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી.
વધુમાં તા.૧૧/૦૩/૨૦૨૪ થી ૧૧/૦૫/૨૦૨૪ દરમ્યાન જે ખેડૂત મિત્રોએ અરજી કરેલી હોય અને અત્રેની કચેરીએ રજુ કરેલી ન હોય તેવા ખેડૂત મિત્રોએ તા.૩૦/૦૬/૨૦૨૪ સુધીમાં તમામ સાધનિક કાગળો સાથે અત્રેની કચેરીએ રજુ કરી દેવા માટે ખેડૂતો મિત્રોને ખાસ નોંધ લેવા વલસાડ જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.