Barbados Weather : T20 વર્લ્ડ કપ 2024ની ચેમ્પિયન ટીમ ઈન્ડિયા બાર્બાડોસમાં અટવાઈ ગઈ છે. બાર્બાડોસમાં સાયલોન બેરીલને કારણે એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું અને તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી, જેના કારણે ટીમ ઈન્ડિયા સમયસર એટલે કે 1લી જુલાઈએ પરત ફરી શકી ન હતી. હવે એક લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમે બાર્બાડોસની પરિસ્થિતિનો અંદાજ મેળવી શકો છો. સ્થિતિ એવી છે કે સાવચેતીના ભાગરૂપે ત્યાં વીજળી પણ કાપવામાં આવી છે.
બાર્બાડોસમાં વાવાઝોડાનો વિનાશ
ચક્રવાતી તોફાન બેરીલના કારણે ટીમ ઈન્ડિયા ટાઈટલ જીત્યા બાદ હજુ સુધી ભારત પરત ફરી શકી નથી. આ વાવાઝોડું સમયની સાથે ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. બાર્બાડોસમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. પૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન સિંહ પણ બાર્બાડોસમાં છે અને તેણે સોશિયલ મીડિયા પર પોતાની હોટલનો વીડિયો શેર કર્યો છે, જેને જોઈને તમે ત્યાંના હવામાનનો અંદાજ મેળવી શકો છો.
257 કિલોમીટરની ઝડપે આગળ વધી રહેલા આ તોફાનના કારણે બાર્બાડોસના લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યાં પાણી અને વીજળી કાપવામાં આવી છે. આટલું જ નહીં વાવાઝોડાને કારણે લોકો ઘરોમાં કેદ થઈ ગયા છે. સાથે જ ટીમ ઈન્ડિયાના સભ્યોને પણ હોટલમાં રોકાવા માટે કહેવામાં આવ્યું છે.
https://twitter.com/robinsingh1409/status/1807801335988764974
ટીમ ઈન્ડિયા માટે BCCIની ખાસ વ્યવસ્થા
રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા બાર્બાડોસમાંથી T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ ઘરે પરત ફરી નથી. બાર્બાડોસમાં હરિકેન એલર્ટ હવામાનને કારણે તે ત્યાં અટવાઈ ગઈ છે. પરંતુ, સારા સમાચાર એ છે કે લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર, ટીમ ઈન્ડિયા બુધવારે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચવાની છે. જો રિપોર્ટ્સનું માનીએ તો ટીમ ઈન્ડિયા મંગળવારે સ્થાનિક સમય અનુસાર સાંજે 6 વાગ્યે BCCI દ્વારા આયોજિત સ્પેશિયલ ફ્લાઈટમાં બાર્બાડોસથી રવાના થશે. તે જ સમયે, તે બુધવારે સાંજે લગભગ 7:45 વાગ્યે દિલ્હીમાં ઉતરશે. જો કે હાલમાં આ સમાચાર માત્ર અહેવાલો દ્વારા જ સામે આવ્યા છે. ખુદ બીસીસીઆઈ કે કોઈ ખેલાડીએ કોઈ માહિતી આપી નથી.